તા.,૪ મે
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ શહેરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા તા.૦૭/૦૫/૨૦૨૩ ના રોજ ગ્રામ પંચાયત સેકેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની લેખિત પરીક્ષા શહેરની અલગ-અલગ શાળા-કોલેજોમાં કુલ-૧૮૨ કેન્દ્રો ખાતે બપોરે ૧૨.૩૦ કલાક થી ૧૩.૩૦ કલાક સુધી લેવામાં આવનાર છે.
આ પરીક્ષાઓ પરીક્ષાર્થીઓ કોઇ પણ જાતની ખલેલ વિના શાંત વાતાવરણમાં આપી શકે, તે હેતુસર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા પ્રતિબંધક આદેશો જારી કરવામાં આવ્યા છે. જે મુજબ રાજકોટ શહેરમાં પરીક્ષા કેન્દ્રોના કંપાઉન્ડની ચારે બાજુની ત્રિજયાના ૧૦૦ મીટરના વિસ્તારમાં અનધિકૃત વ્યકિતઓ તેમજ ચાર કે તેથી વધારે વ્યકિતઓ એકત્રીત થઈ શકશે નહીં. પરીક્ષા કેન્દ્રોની આજુબાજુની ૧૦૦ મીટરની ત્રિજયામાં સ્ટેશનર્સ, વેપારીઓ, શાળા સંચાલકોને ઝેરોક્ષ મશીન અને ફેક્સ મશીન ચાલુ રાખી શકશે નહી. શાળાઓની ૧૦૦ મીટરની ત્રિજયામાં કોઇ વ્યકિત વાહનો લાવશે નહી કે શાળાઓમાં વાહનો લઈ જઈ શકશે નહીં.
તદુપરાંત, પરીક્ષાર્થીઓએ પ્રશ્નપત્રને લગતુ સાહિત્ય, પુસ્તક, ગાઇડ, ચાર્ટ, મોબાઇલ ફોન, બ્લુટુથ, આઈ.ટી. ઉપકરણો જેવા ઇલેકટ્રોનીક સાધનો વિગેરે પરીક્ષા સ્થળ અને પરીક્ષા ખંડમાં લઇ જઈ શકાશે નહીં તેમજ સુપરવાઇઝરોએ પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ ફોન લઇ જવાના રહેશે નહીં. પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલક, સુપરવાઇઝર (ખંડ નિરીક્ષકો), સરકારી પ્રતિનિધિ અને વર્ગ-૪ના કર્મચારીઓએ ચોકસાઇપુર્વકનું ઓળખકાર્ડ સાથે રાખવાનુ રહેશે અને સબંધિતોએ ઓળખકાર્ડ પહેરવાનુ રહેશે. ઓળખકાર્ડ સિવાયની કોઇપણ વ્યકિત પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશ કરી શકશે નહીં. આ જાહેરનામું સવારના ૯.૩૦ કલાકથી બપોરના ૧૪.૩૦ કલાક સુધી અમલમાં રહેશે. જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર બનશે.