તા.૨૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વિશ્વ યોગ દિવસે દેશના અનેક સ્થળોએ યોગ નિદર્શનના કાર્યક્રમો થયા છે, પણ યોગ એ કોઇ એક જ દિવસ કરવાની પ્રક્રિયા નથી. યોગ એ સાધના છે, તે સતત થાય તો જ તેનું ચોકકસ પરિણામ આવી શકે. ઉપલેટા તાલુકાના ૬ હજારની વસ્તી ધરાવતા કોલકી ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા ત્રણ વર્ષથી દર શનિવારે એક કલાક યોગ નિદર્શનના કાર્યક્રમો થઇ રહયા છે.
કોલકી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર શૈલેષભાઇ નિમાવતે કહયુ હતું કે, અહીંના મેડિકલ ઓફિસર, આશા વર્કર્સ, નર્સ, ટેકનીશિયન સહિતનો ત્રીસ જેટલો સ્ટાફ આ યોગ નિદર્શનમાં નિયમિત રીતે ભાગ લે છે. રાજય સરકારમાંથી વીકલી સોશિયલ પ્રોગ્રામ કરવાની સુચના મુજબ આરોગ્ય ક્ષેત્રે કામ કરતા હોવાથી આ સોશ્યલ પ્રોગ્રામ તરીકે અહીં સામુહિક યોગ કરવામાં આવે છે.
તેઓ વધુમાં કહે છે કે, આધુનિક ટેકનોલોજીના સમયમાં વિવિધ શેરી રમતો હવે ખતમ થઇ ગઇ છે. સોશિયલ અને ઇલેકટ્રોનિક મિડિયાના સમયમાં લોકોમાં ઓબેસિટીની સમસ્યા વધતી જાય છે. એવા સંજોગોમાં વિદ્વાર્થીઓના શારીરિક કૌશલ્યનો વિકાસ થાય એ માટે ગુજરાત સરકારે ખેલ મહાકુંભ વર્ષો પહેલા શરૂ કર્યો. એ જ રીતે શરીર અને મનને સ્વસ્થ રાખતી આપણી પ્રાચીન ચિકિત્સક પધ્ધતિ યોગ – પ્રાણાયામને મહત્વ આપવા યોગ બોર્ડની રચના કરી. જે યોગ ગુરૂ અને યોગ કરનારાઓને પ્રોત્સાહન આપે છે.