તા.૩૦/૬/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાના સોમપીપળીયા ખાતે આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ માસ દરમ્યાન લોકમેળાનું આયોજન કરવામાં આવશે, જેથી શ્રી ઘેલા સોમનાથ મંદિર હસ્તક આવેલ કોમ્યુનીટી હોલમાં હોટેલ, રેસ્ટોરન્ટ વગેરે ફાસ્ટફૂડના ઉપયોગ માટે તા.૧૦/૦૮/૨૦૨૩ થી તા.૨૦/૦૯/૨૦૨૩ સુધી ભાડે આપવાનું નકકી કરવામાં આવેલ છે. જેની હરરાજી તા.૦૬/૦૭/૨૦૨૩ના રોજ તાલુકા સેવા સદન, પ્રાંત કચેરી, જસદણ ખાતે બપોરના ૩ ક્લાકે યોજાશે. આ માટે રસ ધરાવતી પાર્ટીઓએ નીચે મુજબની શરતો સાથે તા.૦૫/૦૭/૨૦૨૩ સુધીમાં શ્રી બી.એચ.કાછડીયા, વહીવટદારશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ મો. ૯૩૭૫૦૯૦૩૯૯નો સંપર્ક કરવાનો રહેશે.
જેની શરતો આ મુજબ છે. હરરાજીમાં જોડાવા માટે અગાઉ સ્થળ પર જઈને કોમ્યુનીટી હોલની જગ્યાનું સ્થળ નિરીક્ષણ જે-તે પાર્ટીએ કરી લેવાનું રહેશે. જગ્યા જે સ્થિતિમાં છે તે જ સ્થિતિમાં ઉપયોગ કરવાનો રહેશે અને મંદિર ટ્રસ્ટને પરત સોંપવાનું રહેશે. કોમ્યુનીટી હોલની જગ્યાનું લાઈટબીલ સહિતના અન્ય તમામ વેરાઓ જે તે પાર્ટીએ ભરવાના રહેશે. આ હરરાજીની અપસેટ કિંમત રૂા.૨,૧૧,૦૦૦ રહેશે. અને આખરી નિર્ણય સભ્યસચિવશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદારશ્રી જસદણનો રહેશે. તેમ સભ્યસચિવશ્રી ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અને મામલતદારશ્રી, જસદણની યાદીમાં જણાવાયુ છે.