આસીફ શેખ લુણાવાડા
માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સેનાના વીર શહીદ જવાનોને યાદ કરી તેમને નમન અને વંદન કરીએ : ગૃહ રાજ્ય મંત્રી
મહીસાગર જિલ્લાના હિરાપૂર ગામ ખાતે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનનો શુભારંભ કરાવતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઘર – ઘરની માટી એકઠી કરી અમૃત સરોવર ખાતે ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સ્વતંત્ર રાષ્ટ્રના નિર્માણમાં સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ વિરોના સન્માન માટે ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનની શરૂઆત મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના હિરાપુર ગામ ખાતે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી.
આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે દેશભરમાં વીર સૈનિકો, શહિદો અને તેમના પરિવારજનોને નમન – વંદન કરવા ‘મેરી માટી મેરા દેશ’ ની ઉજવણી થઈ રહી છે ત્યારે સામાન્ય નાગરિકોના રક્ષણ માટે રાત-દિવસ બોર્ડર પર આપણી રક્ષા કરતા વીર જવાનોને યાદ કરી તેમને નમન-વંદન કરીએ. આ કાર્યક્રમ થકી દરેક ગામવાસીઓને પોતાના ગામના સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદ વીરો, માતૃભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોચ્છાવર કરનાર સેનાના વીર શહીદ જવાનોને યાદ કરવાનો અને શ્રધ્ધાસુમન અર્પણ કરવાનો અવસર મળ્યો છે. આ કાર્યક્રમ થકી ગામમાં સમભાવના સાથે દેશ ભાવના પણ ઉજાગર થઇ રહી છે.
વધુમાં મંત્રીએ ગુરુ ગોવિંદને યાદ કરી જણાવ્યુ હતું કે, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના ત્રિ-ભેટે મહીસાગરના આરે પ્રકૃતિ-પહાડોના ખોળે અરવલ્લીની ગીરીમાળામાં વસેલુ માનગઢધામ ઐતિહાસિક ગૌરવવંતુ પવિત્ર સ્થળ છે. ભારતની ભૂમિમાં આઝાદીની હાકલ પૂર્વે આદિવાસીઓના પૂર્વજોએ હજારોની સંખ્યામાં બ્રિટીશરોના દમન-શોષણને વશ નહી થતા તેમનો વિરોધ કરતા તેમની જલીયાવાલા બાગ હત્યાકાંડ કરતા પણ ભયંકર બર્બરતા પુર્વક હત્યા કરવામાં આવેલી. જે તા.૧૭-૧૧-૧૯૧૩ ના રોજ શહાદત થયેલા ૧૫૦૭ આદિવાસીઓને આજે પણ યાદ કરતા આંખો ભીની થાય અને મનમાં દેશપ્રેમની લાગણી ઉત્પન્ન થાય છે. ભીલોના ભેરૂ અને આદિવાસીઓના ગુરૂ ગોવિંદને મારા વંદન છે.
મંત્રી હર્ષ સંઘવી દ્વારા ઘરે ઘરે ફરી માટી એકઠી કરી અમૃત સરોવર ખાતે ‘શિલાફલકમ’ તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકતીમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો સંદેશ તેમજ શહીદોને નમનનો સંદેશ કંડારવામાં આવ્યો છે. પંચ પ્રાણ અંતર્ગત માટીના દીવા સાથે પાંચ પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી, જેમાં વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા, ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા, ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા, રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પ્રતિજ્ઞાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગામના ભારતીય સેનામાં સેવાનિવૃત્ત સૈનિક તેમજ શહિદ સૈનિકો વતી તેમના ધર્મ પત્નીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરી ધ્વજારોહણ, ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવ્યુ હતુ.