વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
પૃથ્વી પર સતત વધી રહેલા પ્રદુષણને કારણે થઇ રહેલા ગ્લોબલ વોર્મિંગ જેવી અનેક સમસ્યાઓના નિવારણ માટે અને દુનિયામાં આધુનિકીકરણની દોડ ઓછી કરી સમગ્ર વિશ્વના લોકો આદિવાસી સમાજ જેવી સરળ અને પ્રકૃતિરક્ષક જિંદગી જીવે એવા શુભ આશયથી યુનાઈટેડ નેશન્સ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સમગ્ર આદિવાસી સમાજ ખેરગામ તાલુકા દ્વારા ખુબ જ ઉત્સાહભેર કરવામાં આવી.જેમાં મોટી સંખ્યામાં અનેક બાળકો,યુવાનો,વડીલો, માતા-બહેનોએ હર્ષભેર ભાગ લીધો હતો.આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાજીની પ્રતિમાને ફુલહાર કરી હજારોની સંખ્યામાં હાજર માનવમહેરામણ દ્વારા જય આદિવાસી,એક તીર એક કમાન-સભી સમાજ એક સમાન,વંદેમાતરમ, ભારત માતાકી જય જેવા સૂત્રોચ્ચાર સાથે હર્ષભેર રેલીની શરૂઆત થઇ હતી અને ખેરગામ બજારમાંથી પસાર થઇ બંધારણના રચયિતા આંબેડકરજીની મૂર્તિને ફુલહાર કરી ત્યાંથી મહાત્મા ગાંધી સર્કલ મહાત્મા ગાંધીજી ની મૂર્તિને ફુલહાર કરી ત્યાંથી તાંત્યા મામા સર્કલ પાણીખડક થઈ ઢોલમ્બર
ચાર રસ્તા રેલી પૂર્ણ કરી હતી. ત્યાર બાદ આછવણી ગામે રામેશ્વર મંદિર ના પતાગણમાં જમણવાર પૂર્ણ કરી છૂટા થયા હતા. આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લાના પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું કે વર્ષોથી પોતાના હકો અને અધિકારોથી વંચિત રહેલો આદિવાસી સમાજ કાયમી શોષણ નો ભોગ બન્યો છે. પરંતુ ડિજિટલ યુગમાં સમય બદલાય રહ્યો છે, અને આદિવાસી સમાજ દિવસે દિવસે પોતાના હક, ફરજો પ્રત્યે જાગૃત બની એકજુથ થઇ રહ્યો છે.આજે કોઇપણ પ્રલોભન વગર હજારોની સંખ્યામાં સ્વયંભુ ઉમટેલો આદિવાસી સમાજએ વધી રહેલી જનજાગૃતિનું પરિણામ છે.આવી જ લોકજાગૃતિથી અનેક સમાજસેવા,દેશસેવાના કામો ચોક્કસથી મૉટેપાયે થઇ શકશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આદિવાસી-બિનઆદિવાસી સમાજના અનેક શુભચિંતકોની મહેનત છે. રેલીનું અનેક જગ્યાએ અન્ય સમાજના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરી ખેરગામમાં કોમી એકતાનો અનોખો સંદેશ પૂરો પાડવામાં આવ્યો હતો.