સાબરકાંઠા વન વિભાગે વિજયનગર તાલુકાના ખેરવાડા ગામે ચેકડેમનું રીપેરીંગ કામ કરાવતા ચેકડેમ પાણીથી છલકાયો
વાત્સલ્યમ્ સમાચાર
સુરેશકુમાર ભરાડા-હિંમતનગર
સાબરકાંઠા વન વિભાગે વિજયનગર તાલુકાના ખેરવાડા ગામે ચેકડેમનું રીપેરીંગ કામ કરાવતા ચેકડેમ પાણીથી છલકાયો
સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો અરાવલીની પર્વતમાળાના ગાઢ જંગલોથી ઘેરાયેલું આદિજાતી વસ્તી ધરાવતા ખેરવાડા ગામમાં વન વિભાગ દ્વારા ચેકડેમ નું રીપેરીંગ કામ કરાવતા ચેકડેમ પાણીથી છલકાયો
સાબરકાંઠા જિલ્લાનાં વન અધિકારી શ્રી હર્ષ ઠક્કરે નિયમોનુસાર દરખાસ્ત કરી ખેરવાડાના ચેકડેમનું સમારકામ કરવાની વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જને સુચના આપી હતી. જે અન્વયે ધોલવાણી રેન્જ કચેરીથી ચેકડેમનું સમારકામ કરવા અંગેની કામગીરી હાથ ધરી પૂર્ણ કરવામાં આવતા ચાલુ ચોમાસા દરમિયાન આ ચેકડેમમાં પાણીથી છલકતા ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગામના સરપંચશ્રીએ જણાવ્યું હતું કે, ખેરવાડા ગામમાં આશરે ૧૬૦૦ જેટલી વસ્તી અને ૩૮૦ કુટુંબો આવેલ છે. ગામના લોકોનું જીવન ધોરણ સંપૂર્ણપણે ખેતીવાડી આધારિત હોઈ સિંચાઈની સુવિધા માટે બોરવેલ અને કુવા બનાવ્યા છે. જેમાં ઉનાળાની સીઝન દરમિયાન પાણીના તળ ઊંડા જવાથી પાણીની મોટી સમસ્યા સર્જાય છે. ખેરવાડા ચેકડેમનું રીપેરીંગ થતા આ ચેકડેમની લંબાઇ ૩૬ મીટર અને ઉંચાઇ ૧.૫૦ મીટર છે. જેમાં પાણીનો ઘેરાવો અંદાજીત ૧૨૬૦૦ ચો.મીટર જેટલો છે. તેથી કાયમી ધોરણે પાણી ભરાયેલું રહેશે એટલે બોરવેલ અને કુવાઓમાં પાણીનું તળ વધારે લાંબો સમય સુધી જળવાઈ રહેશે પરિણામે ગ્રામજનોની પાણીની સમસ્યા મહદ અંશે દુર થવાથી ખેતીવાડી અને પશુપાલન સારી રીતે કરી શકાશે. આમ સાબરકાંઠા વન વિભાગે ખેરવાડા જંગલના ચેકડેમનું સમારકામ કરીને ભૂમિ અને ભેજ સંરક્ષણ ની કામગીરી સાથે અંતરીયાળ વિસ્તારમાં લોકોના આર્થિક જીવન ધોરણને સુધારવાનો સુંદર પ્રયત્ન કર્યો છે.