તા.૧૫/૯/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
મોબાઇલ ટીમો દ્વારા આંગણવાડી, શાળામાં ના જતા બાળકોને પણ ઘેર જઇ કૃમિનાશક ટેબલેટ અપાઇ
રાજકોટ જિલ્લામાં તા. ૧૪ સપ્ટેમ્બરના ‘‘રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ’’ નિમિતે ૧ વર્ષ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કુમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.નિલેશ એમ. રાઠોડે જણાવ્યુ હતું.
કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની,પેટમાં દુઃખાવો, ઉલ્ટી તથા ઝાડા,વજન ઓછુ થવુ જેવી અનેક હાનિકારક અસરો જોવા મળે છે. ભારત સરકાર દ્વારા બાળકોને વિટામીન-એ ના રાઉન્ડની સાથે કૃમિનાશક ટેબલેટ વર્ષમાં બે વખત આપવામાં આવે છે.
કૃમિનાશક ગોળી ખવડાવી ગ્રામ્ય પ્રજાને રક્ષિત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો-૧ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો-પ૪ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો-૯, સબસેન્ટરો-૩૪૭ અને તેમના સેજાના ગામો-૬૧૧ માં “રાષ્ટ્રીય કૃમિનાશક દિન”ની ઉજવણી થઇ હતી. જેમાં પત્રીકાઓનું વિતરણ અને પોસ્ટરો, બેનરો ડીસ્પ્લે કરવામાં આવ્યા હતા. તેમજ રેલી, રોલ પ્લે, કાઉન્સેલીંગ સેશન, શોર્ટ ફીલ્મો બતાવવી, કેમ્પ વર્કશોપ યોજવામાં આવ્યા હતા.
બાળકોને કૃમિની ગોળી ખવડાવવા માટેના બુથો અને આરોગ્યની ટીમો બનાવાયા હતા. પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા, આંગણવાડી કાર્યકર, સ્વંયસેવકો, સુપરવાઈઝરોએ ફરજ બજાવી હતી.
અંતરીયાળ વિસ્તાર, વાડી વિસ્તારમાં કામગીરી કરવા માટે મોબાઇલ ટીમો બનાવવામાં આવી હતી. આરોગ્ય ટીમ ગામના દરેક ઘરોની મુલાકાત લઇ, કોઇ બાળક બાકી નથી તેની ખાત્રી કરી હતી. આંગણવાડી,પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી હતી.