તા.૧૭/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ તાલુકાના કસ્તુરબા ધામ ખાતે આર.કે. યુનિવર્સીટીના કેમ્પસમાં આજરોજ અચાનક આગ ફાટી નીકળતા કોલેજ દ્વારા ફાયર વિભાગને ફોન કરી મદદ માટે બોલાવવામાં આવ્યો હતો. આ સાથે ફાયર બ્રિગેડની ટીમ એકશનમાં આવી તુર્તજ સ્જથળ પર જવા રવાના થયેલી. ફાયર ફાઈટર સાથે જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટરની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી. જે. ઠેબાની આગેવાનીમાં ફાયર વિભાગના કર્મચારીઓએ આગ લાગેલા સ્થળે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.
જિલ્લા વહીવટી તંત્ર વતી ઉપસ્થિત પ્રાંત અધિકારીશ્રી સંદીપ વર્માએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આ એક મોકડ્રિલ હતી. આગ લાગે તો ઇમરજન્સી સેવા કેટલા સમયમાં સ્થળ પર પહોંચી કામગીરી પૂર્ણ કરે છે તે અંગેની આ મોકડ્રિલ સફળ રહી હતી.
મોકડ્રિલ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર શ્રી ઠેબા અને ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ફાયર સેફટી અંગે માર્ગદર્શન આપી અગ્નિશામક સાધનો કઈ રીતે ઉપયોગ કરવો તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ મોકડ્રિલમાં સર્કલ ઓફિસર શ્રી સંજય કટારીયા, નાયબ મામલતદાર શ્રી કિરીટસિંહ જાડેજા, ડી.પી.ઓ. ભરતભાઈ બારડ, ડિઝાસ્ટર વિભાગના શ્રી નિખિલ ગોહેલ, પ્રોજેક્ટ ઓફિસરશ્રી હસમુખભાઈ ભાસ્કર તેમજ આર.કે. યુનિવર્સિટીના સ્ટાફગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતાં.