Rajkot: કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા તાલુકા શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થયું
તા.૧૩/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
૧૫૦થી વધુ લોકોએ આરોગ્ય શિબિરનો લાભ લીધો
Rajkot: ભારત સરકાર અને રાજ્ય સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ લોકો સુધી પહોંચે તે માટે રાજ્યભરના ગામોગામ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથના આગમન થઈ રહ્યા છે. કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામની તાલુકા શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથનું આગમન થતાં ગ્રામજનોએ ભાવભેર સ્વાગત કર્યું હતું. આ તકે પી.એમ.ઉજ્જ્વલા, આયુષ્માન કાર્ડ સહિતના યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિ:શુલ્ક આરોગ્ય કેમ્પ યોજાતા આશરે ૧૫૦થી વધુ લોકોએ લાભ લીધો હતો. સરકારશ્રીની આયુષ્માન ભારત અને આઈ.સી.ડી.એસ. યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની ગાથા રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં સોઈલ હેલ્થ કાર્ડનું પ્રદર્શન અને કુદરતી ખેતી કરતા ખેડૂત સાથે વાર્તાલાપ યોજાયો હતો.
વાદીપરા ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતોમાં જલજીવન મિશન તેમજ જમીનના રેકોર્ડનું ડિજીટાઈઝેશન ૧૦૦ ટકા પૂર્ણ થયું છે. તદુપરાંત હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા તથા સ્થાનિક રમત ગમતની વ્યક્તિઓને સન્માનિત કરાયા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં વાદીપરાના સરપંચશ્રી માયાણી ધીરુભાઈ મૂળજીભાઈ, અગ્રણીશ્રી હરદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્યશ્રીના પ્રતિનિધિશ્રી, મામલતદારશ્રી ગુમાનસિંહજી જાડેજા, તલાટી કમ મંત્રી બી.એમ. મેવાસીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી રિધ્ધિ પટેલ, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, હેલ્થ ઓફિસ, આઈ.સી.ડી.એસ., સ્ટેટ બેંક ઇન્ડિયા વગેરેનો સ્ટાફ સહીત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.