આણંદ સરદાર પટેલ યુનિ.નો ૬૬મો પદવીદાન સમારોહ યોજાયો
૬૮ વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના હસ્તે ૧૦૬ સુવર્ણચંદ્રક એનાયત કરાયા
તાહિર મેમણ – આણંદ 16/12/2023- શનિવાર :આણંદમાં વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ૬૬માં પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિતિમાં યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓમાં શ્રેષ્ઠ દેખાવ કરવા બદલ ૧૦૬ તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રકો એનાયત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી l અમિતભાઈ શાહે નવપદવી ધારકોને જીવનમાં કઠિનમાં કઠિન લક્ષ નિર્ધારીત કરી આઝાદીના અમૃતકાળમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થવા આહ્વાન કર્યું છે.
તેમણે વિદ્યાર્થીઓને આઝાદીના અમૃતકાળમાં પરિશ્રમ અને વિઝન સાથે નવા ભારતની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાને સાકાર કરવા હાંકલ કરી હતી. આઝાદીના અમૃતકાળમાં દેશનું નેતૃત્વ યુવાઓના હાથમાં હશે, ત્યારે તેમણે જીવનમાં ભારત પ્રથમ અને વિશ્વમાં તમામ ક્ષેત્રમાં ભારત સર્વપ્રથમ હશે તે માટે સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કુલ ૧૫૭૫૪ વિદ્યાર્થીઓને ૧૧ વિવિધ વિદ્યાશાખાઓ અંતગર્ત પદવીઓ એનાયત કરવામાં આવી હતી.સરદાર પટેલ યુનિવર્સિટીના આરંભ કાળથી આજ સુધીમાં પદવી ધરાવવાનું ગૌરવ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૭૪,૫૪૮ થઈ છે.