તા.૨૧/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: ચીનમાં ફેલાઈ રહેલી શ્વાસ સંબંધી વાયરસની મહામારીની સંભવિત અસરો સામે ગુજરાત રાજ્યનું આરોગ્ય તંત્ર સંપૂર્ણ સજ્જ છે ત્યારે સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ વ્યવસ્થાની ચકાસણી માટે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીની સૂચના અને માર્ગદર્શન હેઠળ જસદણની સરકારી હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી.
જેમાં એક દર્દીને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લાવી અને ડોક્ટર દ્વારા તપાસ કરી જરૂરી સારવાર કરવામાં આવી હતી, ત્યારબાદ ઓક્સિજનની જરૂર જણાતા ઓક્સિજન આપવામાં આવેલ હતો. મોકડ્રીલ બાદ ઉપસ્થિત અધિકારીઓએ હોસ્પિટલમાં મહામારી સંબંધે તૈયાર કરવામાં આવેલ બેડરૂમ તેમજ રૂમમાં ઉપલબ્ધ દવાઓનો સ્ટોક આર.ટી.પી.સી.આર. લેબોરેટરી, ઓક્સિજન સિલિન્ડર તથા ઓક્સિજન પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અને તમામ મેડિકલના સાધનો કાર્યક્ષમ હોવા અંગે તથા દવાઓનો પૂરતો સ્ટોક હોવા અંગેની ખાતરી કરી હતી.
આ મોકડ્રિલમાં જસદણ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર શ્રી ડો.આર.એમ. મૈત્રી, ડોક્ટર અફઝલ ખોખર, પીડીયાટ્રીશિયન ડોક્ટર જય સાકરીયા તથા તાલુકા હેલ્થ ઓફિસના સુપરવાઇઝરશ્રી જીતુભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી જસદણ સહિતના અધિકારીશ્રીઓઅને કર્મચારીશ્રીઓ ઊપસ્થિત રહ્યાં હતા. તેમ શ્રી એમ. સી. રાજ્યગુરુ, મામલતદાર, જસદણની યાદીમાં જણાવાયું છે.