તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot, Jasdan: રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના અધ્યક્ષસ્થાને જસદણ તાલુકા સેવા સદન ખાતે સિંચાઈ તથા આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
મંત્રીશ્રીએ વિસ્તારના સિંચાઇના પંચાયત વિભાગની યોજના ઓની સમીક્ષા કરી હતી. ઉપરાંત, મંત્રીશ્રીએ સર્વે, મંજૂરી, ટેન્ડર તબક્કાઓમાં રહેલ વિવિધ વિકાસ કાર્યોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. માટીપાળા તેમજ ડેમના પાણીના રસ્તે ઊગેલ ઝાડી-ઝાંખરા દૂર કરવાની કામગીરી, સિંચાઇ વિભાગ તેમજ સૌની યોજના અંતર્ગત હાથ ધરાઇ રહેલા વિવિધ કાર્યોની માહિતી મેળવી મંત્રીશ્રીએ જરૂરી સુચના આપી હતી. ઉપરાંત, વિવિધ કાર્યો સાથે સંકળાયેલ પ્રશ્નો અંગેની વિગતો મેળવી સિંચાઇ વિભાગ અંતર્ગતના યાંત્રિક સાધનો દ્વારા થઈ રહેલ કાર્યોની માહિતી મેળવી હતી.
આરોગ્ય વિભાગની બેઠકમાં મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રો સાથે સંકળાયેલા વિવિધ કાર્યોની વિગતો મેળવીને વિશ્લેષણ કર્યુ હતુ. તેમજ લગત દરખાસ્તો અને પ્રશ્નો વિશે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત નવા આરોગ્ય કેન્દ્રો સ્થાપવા તેમજ જરૂરી સુવિધાઓ અંગેની માહિતી મેળવી હતી.
આ બેઠકમાં સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર સર્વે શ્રી વી.જે.ગોહેલ, શ્રી બી.પી. ભિમજિયાણી, શ્રી સી.પી. ગણાત્રા તેમજ નાયબ કાર્યપાલક ઇજનેરશ્રીઓ, સૌની યોજનાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ડો. રામ, ડો. સિન્હા, ડો. ખાંભરા, કાર્યપાલક ઇજનેરશ્રી સંજીવ નાથાણી, સેક્શન ઓફિસર શ્રી રાજેન્દ્ર દવે તેમજ અન્ય સંબંધિત અધિકારી-કર્મચારીશ્રીઓ હાજર રહ્યા હતાં.