વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારીને જિલ્લાને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં
સૌને સહયોગ આપવા અનુરોધ કરતાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા
નવસારી તાલુકાના આમરી ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પુષ્પ લતાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ ગામમાં પ્રવેશતાં જ ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. આ અવસરે ભારત સરકારના આરોગ્ય વિભાગના નિયામક શ્રી નરેન્દ્રભાઇ ઓઝા વિશેષ ઉપસ્થિત રહયાં હતાં.આ પ્રસંગે જિલ્લા અધિકારી શ્રી પુષ્પ લતાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથના માધ્યમથી કેન્દ્ર અને રાજય સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓના લાભો લોકોને ઘર આંગણે જ મળી રહી છે. જુદા જુદા વિભાગના સ્ટોલ ઉભા કરી ગ્રામજનોને યોજનાની જાણકારી આપવામાં આવી રહી છે. દરેક લોકોને સરકારશ્રીની યોજનાનો લાભ લેવા જણાવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અંતર્ગત ગ્રામજનોને ઘર અને ગામને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું. સ્વચ્છતા એક સંસ્કાર છે એમ જણાવી નવસારી જિલ્લાને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં સૌને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે નવસારી પ્રાંત અધિકારી શ્રી જનમ ઠાકોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી રંગુનવાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ચાવડા, મામલતદાર શ્રી પ્રશાંતભાઇ ગામિત, સરપંચ શ્રી ભાવનાબેન રાઠોડ,પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.