આપણા વડાપ્રધાન એવું માને છે કે સર્વ જ્ઞાન પેતાનામાં છે ! હું કરું તે જ સાચું ! જો કે નોટબંધી/ લોકડાઉન/ ત્રણ કૃષિ કાનૂન/ અચ્છે દિન/ પકોડા-રોજગાર/ કિસાનોની ડબલ આવક/ MSP/ વાદળો હોય ત્યારે રડાર કામ ન કરે વગેરે બાબતો જુમલા સાબિત થઈ છે !
21 ડીસેમ્બર 2023ના રોજ, લોકસભાએ, મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય ચૂંટણી કમિશ્નર (નિયુક્તિ, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ-2023ને મંજૂરી આપી છે. આ મોકો હતો જ્યારે વિપક્ષના સંસદસભ્યોને સામૂહિક રીતે સંસદમાંથી તગેડી મૂક્યા હતા ! 12 ડીસેમ્બર 2023ના રોજ રાજ્યસભાએ આ બિલ મંજૂર કર્યુ હતું.
હવે ચૂંટણી કમિશ્નરની નિમણૂંક કોણ કરશે?ત્રણ સભ્યોની સમિતિ કરશે. આ ત્રણ સભ્યોમાં વડાપ્રધાન પોતે, એક તેમની પસંદગીના કેબિનેટ મિનિસ્ટર, એક લોકસભાના વિપક્ષના નેતા હશે. સ્વાભાવિક છે કે ચૂંટણી કમિશ્નર વડાપ્રધાન ઈચ્છે તે જ બનશે, રહી શકશે ! ચૂંટણી કમિશ્નર સ્વતંત્ર ન હોય તો ચૂંટણી સ્વતંત્ર હોઈ શકે નહીં ! એટલે જ એક તરફ મતદાન ચાલુ હોય છે અને બીજી તરફ વડાપ્રધાનનો રોડ શો ચાલુ હોય છે ! વડાપ્રધાન માટે તો મોસાળમાં જમણવાર અને માતા પીરસનાર, જેવી અનુકૂળ સ્થિતિ ઊભી થઈ છે ! અન્ના હજારેએ કોર્પોરેટ મીડિયાના સૌજન્યથી ‘લોકપાલ’ના નામે/ ‘પારદર્શકતા’ના નામે/ ‘સદાચાર’ના નામે દેશને ધૂણાવ્યો હતો; લોકપાલ તો છોડો, આપણે આપખુદશાહી તરફ ધકેલાઈ રહ્યા છીએ ! શું અન્ના હજારેનો અને તેમના શિષ્યોનો આત્મા મરી ગયો હશે?
અગાઉ જોગવાઈ હતી કે ચૂંટણી કમિશ્નરની નિમણૂંક વડાપ્રધાન/ વિપક્ષી નેતા/ સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસની સમિતિ કરતી હતી. પરંતુ વડાપ્રધાનને ચૂંટણી કમિશ્નરની નિમણૂંક માટે ચીફ જસ્ટિસની સલાહ લેવાનું યોગ્ય ન લાગ્યું એટલે આ બિલ આવ્યું.
2 માર્ચ 2023 ના રોજ સુપ્રિમકોર્ટે અનૂપ બરનવાલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં ચૂંટણી કમિશ્નરની નિમણૂંક માટે સમિતિ રચવા આદેશ કરેલ. આ સમિતિમાં સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસ, વડાપ્રધાન અને લોકસભામાં વિપક્ષના નેતાની નિમણૂંક કરવા જણાવેલ. પરંતુ નવા બિલથી ‘ચૂંટણી કમિશ્નરની નિમણૂંક સમિતિ’માંથી ચીફ જસ્ટિસને તગેડી મૂક્યા છે !
સવાલ એ છે કે શું સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસમાં નિર્ણય કરવાની ક્ષમતા નહીં હોય? શું સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસમાં વિવેકબુદ્ધિ નહીં હોય? સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટિસથી વડાપ્રધાનને ક્યો ડર લાગતો હશે? શામાટે વડાપ્રધાને ચીફ જસ્ટિસનું અને લોકશાહીનું નાક કાપ્યું હશે?rs