કર્ણાટકના ધારવાડ જિલ્લાના સુલ્લા ગામમાં એક પિતાએ પોતાના ત્રણે બાળકોને હથોડા મારી મોતને ઘાટ ઉતારી આત્મહત્યા કરી દીધી. એક જ ઘરમાં ચાર-ચાર અર્થીઓ નીકળી ગામ આખું શોકમગ્ન બની ગયું. પોલીસ ‘તપાસ’ કરે છે. કારણ શોધવાની જરૂર શી છે? છેલ્લે તેવું જ તારણ મળશે બેકારી, ગરીબી, ભૂખમરો, કાલે શું ખવડાવીશ? ક્યાંથી લાવીશ? તે કહેતા આ ત્રણે ભૂખે મરે તે પહેલા જ તેમને મારી નાખું. આ હુમલો કરનાર ફકીરપ્પા મદારાએ તેની પત્ની ઉપર પણ હથોડાથી હુમલો કર્યો તેને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે જ્યાં તેની હાલત પણ ગંભીર છે.
આવી જ એક કરૂણાંતિકા ઉ.પ્ર.ના શામલી જિલ્લાના કૈરોના ક્ષેત્રના પંજીઠ ગામે બની જેમાં માતાએ જ તેના ત્રણ બાળકોને દૂધમાં ઝેર આપી ‘રામશરણ’ કરી દીધા જે પૈકી એકનું તરત જ મૃત્યુ થયું. જ્યારે બીજા બેનું હોસ્પિટલમાં મૃત્યુ થયું તે સમયે તેમનો પિતા દિલ્હીમાં નોકરી શોધવા ગયો હતો. બાળકોના નામ અહીં આપ્યા નથી તેથી ફેર શો પડે? બેકારી, ગરીબી અને ભૂખમરો! અરે! ગૃહક્લેશ માટે પણ આ જ કારણો હોય છે. એક સાંધે ત્યાં તેર તૂટે ગૃહક્લેશ પણ સહજ છે સુખી ઘરમાં ક્લેશ ભાગ્યે જ થાય છે.