મુખ્યમંત્રીના હસ્તે નર્મદાના નીરના વધામણાનાં તાયફાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ: ચૈતર વસાવા
મુખ્યમંત્રીના હસ્તે નર્મદાના નીરના વધામણાનાં તાયફાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાઈ: ચૈતર વસાવા
તાહિર મેમણ : ડેડીયાપાડા – 18/09/2023 – સરકારના તાયફાઓને ધ્યાનમાં રાખીને છેલ્લા એક અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું: ચૈતર વસાવા જણાવ્યું ગઈકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે ઘણા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ: ચૈતર વસાવા*
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે, ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હતો, એટલા માટે મુખ્યમંત્રીના હાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ નર્મદાના નીરના વધામણા કરવાનો કાર્યક્રમ હતો. એને ધ્યાનમાં રાખીને છેલ્લા એક અઠવાડિયાથી નર્મદાનું પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું હતું. અને ઉપરવાસમાં ભારે વરસાદ હોવા છતાં પાણી છોડવામાં ના આવ્યું. ત્યારબાદ ગઈકાલે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 23 દરવાજા ખોલવામાં આવ્યા અને 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, ત્યારે ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારના ઘણા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે.
ઘણી જગ્યા ઉપર એક માળ જેટલું પાણી ભરાઈ ગયું છે અને ઘરવખરીને ખૂબ જ નુકસાન થયું છે. ખેતરોમાં નુકસાન થયું છે, જાનમાલનું નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, રોડ રસ્તાનું નુકસાન થયું છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માગીએ છીએ કે તમારા તાયફાઓના કારણે લાખો લોકોના જીવને જોખમમાં મૂકવાનું કેટલું યોગ્ય છે? સરકાર સમક્ષ અમારી માંગણી છે કે, તાત્કાલિક સર્વે કરાવીને ક્યાંય પણ જાન માલનું કે ખેતીનું નુકસાન હોય તો તેની ચુકવણી કરવામાં આવે. હાલમાં આમ આદમી પાર્ટીની ટીમ અલગ અલગ જગ્યા પર સેવાકાર્યમાં સક્રિય છે.