તા.૧૩/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
ચોમાસા દરમિયાન વધારે ને વધારે વૃક્ષોની વાવણી કરવામાં આવતી હોય છે. ત્યારે રોપણી બાદ વૃક્ષનો ઉછેર વિના વિઘ્ને સુંદર રીતે થઈ શકે, તે માટે નર્સરીમાં તંદુરસ્ત રોપા જીવાત અને રોગથી મુક્ત હોવા અગત્યના છે. જેથી, રોપાઓમાં કીટકોથી થતા નુકસાનનું નિયંત્રણ કરવું જરૂરી છે. તો ચાલો કીટકોથી થતા નુકશાનને અટકાવવા માટે ઉપાયો જાણીએ.
મોલો કીટક ખુબ નાના પોચા શરીરવાળા લંબગોળ આકારના અને કાળી, પીળી અને લીલી એમ ત્રણ પ્રકારના જોવા મળે છે. જે બાગાયતી પાકો તેમજ રોપાઓમાં પાનની નીચેની સપાટી પર અથવા કુમળી ડુંખો પર ચીટકી રહી રસ ચુસીને નુકસાન કરે છે. તડતડીયા કીટક લીલા ફાચર આકારના હોય છે. બચ્ચાં પાંખ વગરના અને ત્રાંસા ચાલે છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક પાનમાંથી રસ ચૂસીને નુકસાન કરે છે. પરિણામે પાન કોકડાઈ જાય છે. વધુ ઉપદ્રવમાં પાન રાતા થઈ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે.
સફેદ માખી કીટકની પાંખો સફેદ અને ઉદરપ્રદેશ પીળુ હોય છે. બચ્ચા કોશેટા બન્ને લંબગોળ આકારના ભીંગડા જેવા ચપટી કાળાશ પડતા અને વાળની ઝાલરવાળા હોય છે. બચ્ચા તેમજ પુખ્ત કીટક પાનની નીચે રહી રસ ચૂસીને નુકસાન કરે છે. નર્સરીના છોડ તથા ધરુમાં કોકડવાના રોગ ફેલાવે છે.થ્રીપ્સ ફીક્કા પીળા રંગનું આ કીટક નર્સરીના છોડ, ગુલાબ, લીંબુ તથા અન્ય બાગાયતી અને શાકભાજીનાં પાકમાં મો વડે પાન પર ઘસરકા કરી તેમાંથી નીકળતો રસ ચૂસી લે છે. પાન સફેદ અને ભુખરા થઈ જાય છે. વધુ ઉપદ્રવમાં પાન કોડાઈ જાય છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે.
કીટકોનું નિયંત્રણ માટેના ઉપાયો
મોલો, તડતડીયા, સફેદ માખી, થ્રીપસ પાનમાંથી રસ ચૂસતા હોવાથી તેના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ નીકળે છે. જે પાનની સપાટી ઉપર પડતા પાન પર કાળી ફુગ થાય છે. કીટકોના નિયંત્રણ માટે કોઈપણ એક શોષક પ્રકારની દવાઓ જેવી કે ફોસ્ફામિડોન ૦.૦૩ ટકા (ડિમેક્રોન ૮૫ ઈ.સી. ૪ મીલી.), મોનોકોટોફોસ ૦.૦૩૬ ટકા (નુવાકોન ૩ ઈ.સી. ૧૦ મીલી), મીથાઈલ-ઓ-ડીમેટોન ૦.૦૨૫ ટકા (મિટાસિસ્ટોક્ષ ૨૫ ઈ.સી. ૧૦ મીલી) ૧૦ લિટર પાણીમાં પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવો જોઈએ.