વાંસદા ભાજપમાં નીરસતા છવાઈ.
વાત્સલ્યમ્ સમાચાર
પ્રિતેશ પટેલ- વાંસદા
પદગ્રહણ પૂજાવિધિ પ્રસંગે ચૂંટાયેલ સભ્યો અને કાર્યકર્તાઓની સૂચક ગેરહાજરી.
વાંસદા તાલુકા પંચાયત નાં નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ પદ ગ્રહણ પ્રસંગે યોજાયેલ પૂજા વિધિમાં જિલ્લા,તાલુકાના સભ્યો,સરપંચો,આગેવાનો અને કાર્યકર્તાઓને આમંત્રિત કરાયા હતા.પરંતુ આ પૂજાવિધિ પ્રસંગે ભાજપ કાર્યકર્તાઓની સૂચક ગેરહાજરી જોવા મળી હતી.જે વાંસદા ભાજપ નાં ભંગાણ તરફ નો સંકેત હોઈ શકે છે. બહુમત સભ્યો જેને સમર્થન કરી રહ્યા હતા તેવા સર્વસંમત ઉમેદવારને પસંદ કરવાની જગ્યાએ પોતાના માનીતા કે મનગમતા સભ્યને પ્રમુખ બનાવતાં ભાજપ સંગઠન દ્વારા ફરી એકવાર જૂની ભૂલ રીપીટ કરવામાં આવી હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને બહુમત સભ્યો નારાજ થયા હતા .અને આમંત્રિતો પૂજા વિધિમાં ગેરહાજર જણાયા હતા જેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વાંસદા પંથક માં પડ્યા છે. હવે વાંસદા ભાજપમાં શહેરી અને ગ્રામ્ય એમ રીતસરના બે જૂથો થયા છે ત્યારે ભાજપની અખંડિતતા સામે અનેક સવાલો પેદા થયા છે.ભવિષ્યમાં જેના ઘેરા પ્રત્યાઘાત પડશે અને આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓમાં એની અસર દેખાશે.વાંસદા ભાજપ સંગઠન હવે પસંદગીના સભ્યોનો એક શંભુ મેળો બની ગયું છે.જેમાં કોઈ ગુણવત્તા જેવું રહ્યું નથી.લાયક ઉમેદવાર ને જોયા વિના કે બહુમતી ને ધ્યાનમાં લીધા વિના અને લોકચાહના કોના તરફ વધુ છે જેવી અનેક સંવેદનશીલ બાબતો ને લક્ષમાં લીધા વિના પોતાના વ્યક્તિગત માનીતા ઉમેદવારની પસંદગી કરી દેવાની ભૂલ ભાજપ સંગઠન વારંવાર કરી રહ્યું છે.અને તેના ઘાતક પરિણામો પણ ભોગવી રહ્યું છે. જાણે “વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ” સૂઝી હોય તેવું હાલ તો જણાય રહ્યું છે.વાંસદા તાલુકો મહત્તમ ગ્રામ્ય વિસ્તાર છે.મતદારો, કાર્યકર્તાઓ ની સંખ્યા પણ ગ્રામ્ય વિસ્તારમાં વધુ હોય તે સ્વાભાવિક છે.ત્યારે ગ્રામ્ય વિસ્તારને પ્રાધાન્ય આપી એમને રીઝવવાની જગ્યાએ એમની નારાજગી વહોરવા નું ભાજપને આવનારા દિવસોમાં ભારે પડી શકે છે. આમ પણ વાંસદા કોંગ્રેસ નો ગઢ મનાય છે.જે ભૂતકાળની વિધાન સભા જેવી અનેક ચૂંટણીઓમાં આપણે અનુભવ કરી ચૂક્યા છે.પણ એ અનુભવ માંથી ભાજપ સંગઠન કઈ શીખ્યું નથી.કદાચ હાલના ભાજપના નિર્ણયો જોતાં કઈ શીખવા માંગતું નથી એવું કહીએ તો ખોટું નથી.કોંગ્રેસ નાં નેતાની લોકચાહના હજુ પણ બરકરાર છે.કેમ કે એમણે ગ્રામ્ય વિસ્તારમાં પગદંડો જમાવ્યો છે.ઉમેદવારી પસંદગીમાં ગ્રામ્ય વિસ્તારને પ્રાધાન્ય આપી મતદારો અને કાર્ય કર્તાઓને રીઝવવા માં કોંગ્રેસ સફળ રહ્યું છે.જ્યારે ભાજપ સંગઠન એનાથી વિપરીત ચાલી પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યું છે.માહોલ જોયા વિના પોતાના પસંદગીના ઉમેદવારોને હોદ્દા પર ઠોકી બેસાડવાનાં ઘમંડી નિર્ણય લઈ ભાજપ એમાં સફળ થઈ ગયા નું માંની રહ્યું છે.પરંતુ એજ સફળતા અનેક નિષ્ફળતાનું કારણ બનશે ની લોકચર્ચા ઉઠવા પામી છે બને શકે કે આવનારા દિવસો વાંસદા ભાજપ માટે કપરા સાબિત થાય તો નવાઈ નહી.