તા.૧૬ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જેતપુરના ચકચારી વનરાજ ધાંધલ હત્યા કેસમાં નામચીન નિખિલ દોંગા સહિત ચાર આરોપીનો નિર્દોષ છુટકારો થયો છે. આ કેસ જેતપુરની એડિશનલ સેસન્સ કોર્ટમાં ચાલ્યો હતો. નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ મળ્યો છે. જ્યારે હત્યામાં સામેલ પાંચમો આરોપી નિકુંજ રૈયાણી હજુ ફરાર હોવાથી તેને આ ચુકાદાથી અલગ રખાયો છે.
આ કેસની વિગત મુજબ ૧૧. નવેમ્બર ૨૦૧૩ના રોજ ગોંડલની એક સોસાયટીના પાર્કિંગમાં રાખેલ કારમાંથી માથામાં ગોળી ધરબી હત્યા કરાયેલી હાલતમાં જેતપુરના વનરાજ ધાંધલનો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં ગોંડલ પોલીસે નિખિલ દોંગા, મહેશ કોલડીયા, જીતેશ વૈષ્ણવ, ચિરાગ ધાનાણી અને નિકુંજ રૈયાણી સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા, હત્યા પીઠડિયા ટોલનાકા પાસે થઈ હોવાનું અને હત્યા બાદ મૃતદેહ ગોંડલ ખાતે કારમાં મૂકી આરોપી ફરાર થઇ ગયા હતા. બનાવ પીઠડીયા ટોલનાકાનો હોવાથી આ તપાસ વીરપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થઈ હતી. તત્કાલીન સમયે હત્યાનો બનાવ સૌરાષ્ટ્ર પંથકમાં ખૂબ ચગ્યો હતો. હત્યાનો ભોગ બનનાર વનરાજ ધાંધલના હત્યારાઓને કડક સજા મળે
તે માટે કાઠી સમાજ દ્વારા મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવી હતી. આ હત્યામાં પાંચેય આરોપી સમયાંતરે જામીન પર છુટેલ જેમાંથી નિકુંજ રૈયાણી કોર્ટની તારીખમાં પણ આવતો ન હોય તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો. કેસ જેતપુરની કોર્ટમાં ચાલી જતા એડિશનલ સેસન્સ જજ આર.આર. ચૌધરીએ 161 પેઈજનો ચુકાદો આપીને નિખિલ સહિત ચાર આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂક્યા હતાં. જ્યારે નિકુંજ રૈયાણીને ફરાર જાહેર કરી તેને આ ચુકાદામાંથી મુક્ત રાખી તે હાજર થયે તેના પર કેસ ચાલવાનો ચુકાદો આપ્યો હતો.