તા.૨૩ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ઓછું હિમોગ્લોબીન ઘરાવતી ૯૧ સગર્ભા મહિલાઓની સમયસર સારવાર કરાઈ
રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે માતા અને બાળકના જીવનને સુરક્ષિત કરવા માટે “એન્ટીનેટલ કેર” એટલે કે “સગર્ભાવસ્થા સારસંભાળ” હેઠળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોમટા પી.એચ.સી. સેન્ટરના મેડીકલ ઓફિસર શ્રી ડો.મિલન હાપલિયા અને તેની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે ડો.મિલન હાપલિયાએ વિગતવાર વાત કરતાં જણાવ્યું હતું કે, સરકારના નિયમો અનુસાર ગામની દરેક સગર્ભા મહિલાઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. ત્યારે ગોમટા હેઠળ આવતા ૮ ગામોમાં રજિસ્ટર થયેલી સગર્ભાઓના દરેક જરૂરી રિપોર્ટ કરીને તેમના સ્વાસ્થ્યની દેખભાળ રાખવામાં આવે છે. જેમાં ગોમટા પી.એચ.સી. સેન્ટર દ્વારા છેલ્લા ૧૧ માસમાં ૧૧ ટકાથી ઓછું હિમોગ્લોબીન ધરાવતી ૯૧ સગર્ભા મહિલાઓને આયર્ન સુક્રોઝના ઈન્જેકશન આપીને સમયસર યોગ્ય સારવાર કરીને માતા અને આવનાર બાળકના જીવને સુરક્ષિત કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ફિલ્ડ વર્ક દરમિયાન સગર્ભાનું હિમોગ્લોબીન ઓછું છે તે ખબર પડતાં જ તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવે છે. ઘણી સગર્ભાઓને દવાથી જ સારુ થઈ જતું હોય છે. પરંતુ જે સગર્ભાઓનું હિમોગ્લોબીન ખૂબ ઓછું હોય તેમને આયર્ન સુક્રોઝના ડોઝ આપવામાં આવે છે. આ ડોઝ એકાંતરા સારવારની જરૂરિયાત મુજબ આપવામાં આવે છે.
હિમોગ્લોબીન ઓછું હોવાના કારણે માતા અને બાળક બંનેનું જીવન જોખમમાં મુકાય છે અને સગર્ભાને હેમરેજ, મિસકેરેજ, બી.પી ઓછું થવું, હદયનો હુમલો. ઈન્ફેકશન વગેરે થવાની શક્યતાઓ પણ વધી જાય છે. કુપોષણના કારણે માતા અને બાળકને પાંડુરોગ થઈ શકે છે. તેથી દરેક મહિલાઓએ લોહીનો રીપોર્ટ સમયાંતરે કરાવવો જોઈએ. સગર્ભા મહિલાઓએ તો સવિશેષ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું જોઈએ. કારણ કે માતાના સ્વાસ્થ્ય ઉપર જ આવનાર બાળકનું સ્વાસ્થ્ય નિર્ભર હોય છે. તેથી માતા સ્વસ્થ હશે તો બાળક પણ સ્વસ્થ હશે તેમ ડો. મિલન હાપલિયાએ જણાવ્યું હતું.
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.