તા.૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામના વતની અતુલભાઈ વઘાસીયાના વારસદાર હેતલબેન અતુલભાઈ વઘાસીયાને “કુદરતી આફત મૃત્યુ સહાય” યોજના અંતર્ગત રૂ. ૦૪ લાખની સહાયનો ચેક જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયાના હસ્તે અપાયો હતો.
આ બનાવની વિગતો આપતાં જેતપુરના મદદનીશ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.એન.રાવલે જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા રાજસ્થાનમાં સર્જાયેલા સાયકલોનીક સરકયુલેશનની અસરના કારણે તા.૨૯ મે ના રોજ રાજયભરમાં મીની વાવાઝોડાની સ્થિતિ સર્જાઇ હતી, જેમાં રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામ ખાતે ખોડલ પાર્ટી પ્લોટની ઓરડીઓ પરના પતરા ભારે પવનમાં ઉડી ન જાય તે માટે અતુલભાઈ વઘાસીયા, મનસુખભાઈ વઘાસીયા અને કિશનભાઇ સોલંકી છાપરા પર ચડી પતરાઓ પર વજનદાર પથ્થરો ગોઠવી રહ્યા હતાં ત્યારે ઝોરદાર પવન ફુંકાતા આખું છાપરું ઉડીને નીચે જમીન પર પટકાયું હતું અને છાપરા ઉપરથી ત્રણેય યુવાનો પણ નીચે જમીન પર પટકાયા હતા, જેમાં અતુલભાઈ વઘાસીયાનું ઘટનાસ્થળે જ આકસ્મિક અવસાન થયું હતું અને અન્યને ઈજા થવા પામી હતી. આથી રાજ્ય સરકારની “કુદરતી આફત મૃત્યુ સહાય” યોજના અંતર્ગત જરૂરી તમામ દસ્તાવેજોની ખરાઇ બાદ મૃતક સ્વ. અતુલભાઇ વઘાસીયાના વારસદારને એક માસથી પણ ઓછા સમયગાળામાં રૂ. ૪ લાખની સહાયનું ચુકવણું કરવામાં આવ્યું હતું. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના દાખવી જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે ટૂંકાગાળામાં જ ધારાસભ્યશ્રી જયેશ રાદડિયાએ રાજયસરકારની યોજનાનો લાભ મૃતકના પરિવારને અપાવી સાંત્વના પાઠવી હતી.