તા.૨૬/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
પેમ્ફલેટ્સના દહન સાથે અચૂક મતદાન કરવા-કરાવવા નાગરિકો પ્રતિબદ્ધ થયા
Rajkot: હાલ લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે, ત્યારે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સ્વીપ (સિસ્ટેમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટિસિપેશન) હેઠળ મતદાન જાગૃતિના પ્રયાસો ચાલી રહ્યા છે. એટલું જ નહીં, ચૂંટણીને દૂષિત કરતા પરિબળોને ઓળખીને તેનું આ વખતે હોળી પર્વમાં દહન કરીને લોકજાગૃતિનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે.
૬૮-રાજકોટ પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં આવી જ રીતે ચૂંટણીના અનિષ્ટોનું દહન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૪મી માર્ચે પોપટપરા, વેર હાઉસ નજીક, બી.એલ.ઓ. ૧૦થી ૧૯ તેમજ ઝોનલ રૂટ નં.૨ની ઉપસ્થિતિમાં હોલિકા દહન અંતર્ગત સ્વીપ “મતદાન જાગૃતિ” કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તકે લોભ, લાલચ, હિંસા, અનૈતિક તત્ત્વો, બળ પ્રયોગ, કેફી દ્રવ્યો, ભ્રષ્ટાચાર, આળસના પેમ્ફલેટ્સનું નાગરિકોએ પ્રતીક દહન કર્યું હતું. આ સાથે કોઈપણ પ્રલોભન વિના આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવાના શપથ લીધા હતા, તેમજ કુંટુંબ તથા મિત્રો ને પણ ફરજિયાત મતદાન કરાવવા સૌ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા.
આ ઉપરાંત આર્યનગર પેડક રોડ ઝોનલ રૂટ નં ૧૨ના ઝોનલશ્રી દ્વારા પણ આવો જ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને મતદાન કરવા તથા કરાવવા માટે સૌએ પ્રતિજ્ઞા લીધી હતી. જ્યારે રાજા રામ સોસાયટીમાં યોજાયેલા કાર્યક્રમમાં મહિલાઓ મોટી સંખ્યામાં હાજર રહી હતી અને ચૂંટણીમાં મતદાન કરીને લોકશાહીના પર્વને ગર્વ સાથે ઉજવવાની ભાવના વ્યક્ત કરી હતી.