આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં નેત્રંગમાં વિશાળ જનસભાને સંબોધી હતી. પોતાના સંબોધનમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહારો કરતા સરકારને આદિવાસી વિરોધી ગણાવી હતી.
તો આગામી લોકસભા ચૂંટણી માટે અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક પરથી ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચેલા અરવિંદ કેજરીવાલએ લોકસભામાં આપના ધારાસભ્યને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. અરવિંદ કેજરીવાલે ભાજપને આદિવાસી વિરોધી તરીકે વર્ણવતા કહ્યું હતું કે, જો ચૈતર વસાવાને જામીન નહીં મળે, તો ચૈતાર વસાવા જેલમાંથી જ લડશે. કેજરીવાલે કહ્યું કે ભાજપે ગુજરાતમાં આદિજાતિ સમાજ માટે કંઇ કર્યું નહીં. કેજરીવાલે કહ્યું કે તમે 30 વર્ષથી ભાજપને મત આપો છો, પણ તેમણે આદિવાસીઓ માટે કઈ કર્યું નથી.