આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં યોગ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.p
આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં યોગ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.
તાહિર મેમણ : આણંદ – 06/05/2024- આજ રોજ તારીખ 5મી માર્ચ, 2024 બુધવારે શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં યોગ વિષયક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તજજ્ઞ તરીકે ડૉ. ભાનુપ્રસાદ પંડ્યાએ કોમ્પ્યુટરના માધ્યમથી ચિત્રાત્મક અને એનિમેશન પ્રેઝન્ટેશન સાથે રજૂઆત કરી હતી.
જીવનમાં યોગ અને સંતુલિત આહારનું મહત્વ અને તે દ્વારા ગેસ, એસીડીટી અને હ્રદય રોગથી બચવા માટે કેવી રીતે આહાર-પાણી લેવા જોઈએ તેની સુંદર સમજ આપી હતી. શરીરમાં ખોરાક પાચન આધારિત રસ, રક્ત, મેદ, માંસ, અસ્થિ, મજ્જા અને શુક્ર સાત ધાતુ બનતી હોવાથી પોષણક્ષમ સંતુલિત ખોરાક લેવાની સાથે યોગ, વ્યાયામ અને યોગ્ય ઢબે સૂવાની હિમાયત કરી હતી. તેઓશ્રીએ શરીરમાં જઠર, યકૃત, સ્વાદુપિંડ અને એપેંડિક્સનું સ્થાન દર્શાવી, પાચનતંત્રના અંગોનું કાર્યો ખોરવાય નહીં તે માટે ખોરાક અને પાણીના પ્રમાણ તથા શ્વસનક્રિયાની યોગ્ય રીતનું મહત્વ પણ સ્પષ્ટ કર્યું હતું. એક કલાકના આ સેશનમાં યોગ, આહાર, આરામ અને પાણી સેવનની યોગ્ય રીતના ફાયદા વર્ણવ્યા હતા તથા પ્રાયોગિક સમજ આપી હતી. મગજ સુધી લોહીનો પૂરતો પ્રવાહ કેવી રીતે પહોંચી શકે તેમ જ શરીરમાં રક્ત શુદ્ધિની પ્રક્રિયામાં ફેફસાં અને કિડનીની ભૂમિકા પણ સ્પષ્ટ કરી હતી. કેટલીક યોગ ક્રિયાઓ, આસનો અને શ્વાસોશ્વાસ નું નિદર્શન કરી વિદ્યાર્થીઓ પાસે પણ પુનરાવર્તન કરાવ્યું હતું.
સંસ્થાના પ્રિન્સિપાલ ડૉ. જે. કે. તલાટી સાહેબે તેઓશ્રીના સુંદર માર્ગદર્શન માટે આભાર વ્યક્ત કરતા ભેટ સ્વરૂપે ‘સુવર્ણ દિન’ પુસ્તક અર્પણ કર્યું હતું.