તા.૬ ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાતના ખેડુતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-‘૨૩ની રવિ સિઝનમાં તુવેર, ચણા અને રાયડો ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાલ તુવેર પાકનો ટેકાનો ભાવ રુ. ૬૬૦૦ પ્રતિ ક્વિંટલ, ચણા પાકનો ટેકાનો ભાવ રુ. ૫૩૩૫ પ્રતિ ક્વિંટલ તેમજ રાયડા પાકનો ટેકાનો ભાવ રુ. ૫૪૫૦ ક્વિંટલ નિયત કરાયો છે.
ખેડુતોએ તુવેર, ચણા અને રાયડો ટેકાના ભાવે વેચવા માટે તા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધીમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તથા તાલુકા કક્ષાએ APMC ખાતે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. જે માટે જરૂરી સાધનિક કાગળો જેવા કે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, IFSC કોડ ધરાવતા બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ ઓનલાઈન જોડવાના રહેશે. રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદીનો ખેડુતોએ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એ. એલ. સોજીત્રાની યાદીમાં જણાવાયું છે.