વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનો આટ ગામના રામજી મંદિર ખાતે તાલુકાકક્ષાનો પશુપાલન શિબિર કમ પ્રદર્શન તથા જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના હેઠળ ખેડુતો/પશુપાલકોને કીટ વિતરણ કાર્યક્રમ જલાલપોરના ધારાસભ્યશ્રી આર.સી.પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીમાં જમીન માટે જરૂરી પોષક તત્વો-સંસાધનોની સામગ્રી જાતે જ બનાવી શકાય છે. આ પ્રકારના જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જીવ, જમીન અને પર્યાવરણના જતનની સાથે જળ અને જમીનક્ષેત્રે બદલાવ માનવસમાજ માટે આશિર્વાદરૂપ બનશે. જમીનના પોષકતત્વોમાં વધારો થવાના કારણે ખેતીમાં પોષણક્ષમ ઉત્પાદન થવાની સાથે ફળદ્રુપતામાં વધારો થશે. તમામ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના અંદાજે ૩૦૦ જેટલા ખેડુતો અને પશુપાલકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ખેડૂતોને ખેતીવાડીની યોજનામાં તાડપત્રી સહાયનાં ૧૩૧ લાભાર્થીઓ, બાગાયતનાં ૧૨૫ લાભાર્થીઓને કેરેટ અને પશુપાલનનાં ૧૦૪ લાભાર્થીઓને મિનરલ મિક્ષચર પાઉડરનું વિતરણ કરવામાં આવ્યુ હતું
કાર્યક્રમમાં જીલ્લા પંચાયત નવસારીના ખેત ઉત્પાદન, સહકાર, સિંચાઇ અને પશુપાલન સમિતિ અધ્યક્ષશ્રી પરીમલભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોશનીબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યો શંકરભાઇ રાઠોડ, અનિતાબેન હળપતિ તથા તાલુકા પંચાયત સદસ્યો પ્રમોદભાઈ, તૃપ્તિબેન, પશુપાલન વિષય નિષ્ણાંતો ડૉ.ડી.બી.ઠાકોર, ડો. વી.વી. ઓઝા અને ડો. હર્ષિલ ઠાકોર, પશુપાલન નિયામકશ્રી ડો એમ.સી.પટેલ અને ખેતીવાડી શાખાના વડા ડો. અતુલ ગજેરા સહિત તાલુકાનાં ખેતી અને પશુપાલનનાં તમામ કર્મચારીઓ ઉપસ્થિત રહયાં હતાં.