તા.૨૯ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
ચાર મહિનામાં નોંધણી કરાવવાની સગવડ-બંને પક્ષોની સહીવાળી ૧૫ એપ્રિલ પહેલાંની મિલકતમાં જૂની જંત્રી લાગુ થશે
જાહેર રજાના દિવસોમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે
આગામી તા. ૧૫ એપ્રિલ-૨૦૨૩થી ગુજરાત રાજયમાં જમીનો/સ્થાવર મિલકતોના જંત્રીના ભાવોમાં થનાર સંભવિત વધારા અંગે નોંધણી નિરીક્ષકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા નીચે મુજબની સ્પષ્ટતા કરવામાં આવી છે.
૧૫ એપ્રિલ બાદ નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં બંને પક્ષકારોની સહી થઇ નોંધણી માટે તૈયાર હશે અને જરૂરી રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં સંભવિત જંત્રી વધારાના દરો લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.
તા.૧૫/૦૪/૨૦૨૩ પહેલા પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે અને તા.૧૫/૦૪/૨૦૨૩ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકિંમત મુજબની સ્ટેમ્પ ડયુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ.૩૦૦/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.
રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી ૪, ૭ અને ૮ એપ્રિલની જાહેર રજાના દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે તેમ રાજકોટ નોંધણી નિરીક્ષક શ્રી ચારેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.