GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ તાલુકાના વડાળી ગામે વિવિધ યોજનાના લાભો વિતરીત કરાયા

તા.૧૦/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: તાજેતરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી બિરસા મુંડાના જન્મદિવસ ૧૫ નવેમ્બરથી શરૂ કરેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ રાજકોટ તાલુકાના વડાળી ગામે પહોંચ્યો હતો. વડાળી ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી અને ગ્રામજનો દ્વારા ઢોલ નગારા સાથે કુમકુમ તિલક કરી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના હસ્તે આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સાંસદશ્રીએ પ્રાસંગિક પ્રવચનમાં ગ્રામ લોકોને વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી, આ યોજનાઓનો વધુમાં વધુ ગ્રામજનોને લાભ લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં મહાનુભાવના હસ્તે આયુષ્માન કાર્ડ, ઉચ્ચ ગુણે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અને ગ્રામ પંચાયતને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા.

આ તકે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કસ્તુરબા ધામના આયુષ ડો.સરોજબેન જેતપરિયાના માર્ગદર્શન તળે એમ.પી.એચ.એસ.શ્રી ધીરેનભાઈ રાઠોડ, સી.એચ.ઓ.શ્રી એકતાબેન જાદવ વગેરે સ્ટાફ દ્વારા આયુષ્માન કાર્ડ, આભા કાર્ડની કામગીરી તથા આરોગ્ય કેમ્પ યોજી લોકોના આરોગ્યની સામાન્ય તપાસ અને ટી.બી. તથા કેન્સર સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન તથા સોઈલ હેલ્થ કાર્ડ વિશે વિશેષ માહિતી આપવામાં આવી તથા કુદરતી ખેતી કરતા ખેડૂતો સાથે અન્ય ખેડૂતોનો વાર્તાલાપ યોજી પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વળવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

સાથે જ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજના આયુષ્માન ભારતથી થયેલા લાભ અને પોતાના જીવનમાં આવેલા પરિવર્તન અંગે લાભાર્થીશ્રી દિનેશભાઈ ડાભી, બટુકભાઈ અમીપરા અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવનાર સંજયભાઈ મૂછડીયાએ પોતાની કહાની રજૂ કરી હતી. આ ઉપરાંત આંગણવાડી બહેનો દ્વારા વાનગી પ્રદર્શન અને શાળાના બાળકો દ્વારા ‘‘પર્યાવરણ બચાવો’’નો સંદેશ આપતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, આ ગામમાં ૧૦૦ ટકા આયુષ્માન કાર્ડ નીકળ્યા છે તેમજ ગ્રામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના, જમીન રેકોર્ડ ડિજીટાઈઝેશનની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. આ ગામ ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં રાજકોટ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચેતનભાઇ કથીરિયા, સરપંચ શ્રી સુરપાલસિંહ જાડેજા ,ઉપસરપંચશ્રી રમેશભાઈ સાબરીયા, અગ્રણી શ્રી નરેન્દ્રસિંહજી જાડેજા, વડાળી પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંજયભાઈ થોરીયા, અન્ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!