તા.૨૬/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ચિત્ર, રંગોળી-મહેંદી,નાટક,પોસ્ટર સ્પર્ધાઓ તથા સાયકલ રેલી થકી મતદારોને પવિત્ર ફરજ અંગે જાગૃત કરાયા
Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તા. ૦૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.જેમાં સૌ રાજકોટવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ, મતદાન કરે તે માટે “સ્વીપ”ના નોડલ ઓફિસશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરની આનંદમયી વિદ્યાલય, કે.જી.ધોળકીયા સ્કુલ તથા પતંજલિ સ્કુલ ખાતે ચિત્ર, રંગોળી અને નાટક સ્પર્ધા યોજી, મતદાન અંગેના શપથ લેવામાં આવ્યા હતા. સાથે જ રાજકોટ જિલ્લાના જસદણ શહેરની શ્રી શિવમ સ્કુલમાં મતદાન જાગૃતિ અનુસંધાને પોસ્ટર સ્પર્ધા યોજાઈ હતી, સ્પર્ધામાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિને લગત પોસ્ટર બનાવી શાળાની આસપાસના વિસ્તારમાં રેલી સ્વરૂપે મતદાન જાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મતદારો જાગૃત થઈ મતદાનની નૈતિક ફરજ બજાવે તે માટે જાગૃતિલક્ષી કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા. જે અનુસંધાને સરકારી માધ્યમિક શાળા રેવાણીયા ખાતે સ્લોગન સ્પર્ધા, જ્ઞાન ભારતી માધ્યમિક શાળા- પીપરડી ખાતે વક્તૃત્વ સ્પર્ધા અને સાયકલ રેલી યોજાઈ હતી.
રાજકોટની પી.બી.કોટક શાળા ખાતે સહી ઝુંબેશ અને સ્લોગન લેખન સ્પર્ધા દ્વારા ધો.૯ અને ૧૧ના વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ વિશે સૌને જાગૃત કર્યા હતા. તો મા શારદા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓએ મતદાન જાગૃતિના સ્લોગનની મહેંદી હાથમાં મુકાવી નવતર પ્રયાસ થકી મતદાન જાગૃતિનો સંદેશો આપ્યો હતો.