તા.૨૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગોંડલ તાલુકામાં ગ્રામજનોએ ઘર આંગણે મેળવ્યા અનેકવિધ સરકારી યોજનાઓના લાભો
Rajkot, Gondal: કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે તે હેતુસર આયોજિત રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું વાછરા અને રૂપાવટી ગામે સમાપન થયું હતું, આ સાથે જ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો રથ ગોંડલ તાલુકાના તમામ ગામોમાં ફરી વળી, ગ્રામજનોને સરકારની અનેકવિધ યોજનાઓનાં લાભો ઘરે બેઠા આપ્યા હતા.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના, વૃદ્ધ સહાય, વિધવા સહાય, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પીએમ કિશાન યોજના, સોઈલ હેલ્થ કાર્ડ જેવી સરકારી કલ્યાણકારી યોજનાઓની વિસ્તૃત માહિતી ગ્રામજનોને આપવામાં આવી હતી. સરકારની યોજનાઓ અન્વયે લાભાન્વિત થયેલા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
ડ્રોન નિદર્શન તથા “ધરતી કહે પુકાર” નાટ્યકૃતિ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. “મેરી કહાની, મેરી જુબાની” થીમ અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લીધેલ લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવી પાત્રતા ધરાવતા અન્ય લાભાર્થીઓ પણ સરકારની યોજનાઓનો લાભ મેળવે તે માટે અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિતોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રજાજોગ વિકસિત ભારત સંકલ્પ અન્વયેનો રેકોર્ડ કરેલો સંદેશો સાંભળી લોક કલ્યાણકારી યોજનાઓનાં લાભાર્થીઓનાં પ્રતિભાવો દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવા સંકલ્પબદ્ધ થઈ શપથ ગ્રહણ કર્યા હતા.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, મહેસૂલ વિભાગ, પશુપાલન વિભાગ, આરોગ્ય વિભાગ, ખેતીવાડી વિભાગ, આઈ.સી.ડી.એસ., બેંક સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આમ, તાલુકા વિકાસ અધિકારીશ્રી મિલનભાઈ ઉકાવાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકાની “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પૂર્ણ જાહેર થઈ હતી.