કુલ ૬૧ કરોડ પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન)માંથી અત્યાર સુધી ૪૮ કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા છે. જો ૩૧ માર્ચ સુધીમાં પાન સાથે આધાર લિંક કરવામાં નહીં આવે તો બિઝનેસ અને ટેક્સ સંબધી પ્રવત્તિઓમાં લાભ મળી શકશે નહીં તેમ સીબીડીટીના ચેરમેન નીતિન ગુપ્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે હજુ પણ ૧૩ કરોડ પાન આધાર સાથે લિંક કરવામાં આવ્યા નથી. જો કે તેમણે આશા વ્યક્ત કરી હતી કે ૩૧ માર્ચ સુધીની સમયમર્યાદામાં બાકી રહેલા પાન પણ આધાર સાથે લિંક થઇ જશે.
ઉલ્લેખનીય છે કે સરકારે પાન સાથે આધારને લિંક કરવું ફરજિયાત બનાવી દીધું છે. આ માટે ૩૧ માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે અને જો આ સમય સુધીમાં પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ત્યારબાદ પાનને નિષ્ક્રિય જાહેર કરી દેવામાં આવશે.
આ સાથે જ અત્યારથી ૩૧ માર્ચ સુધીમાં પાન સાથે આધાર લિંક કરવા માટે ૧૦૦૦ રૃપિયા ફી ચૂકવવી પડશે.
સીબીડીટી પ્રમુખે જણાવ્યું છે કે પાનને આધાર સાથે જોડવા માટે અનેક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યા છે અને અનેક વખત આ અંગેની તારીખ વધારવામાં આવી છે. જો નિર્ધારિત સમય મર્યાદામાં પાનને આધાર સાથે લિંક કરવામાં નહીં આવે તો ટેક્સ લાભ મળશે નહીં કારણે પાન રદ કરી દેવામાં આવશે.
સીબીડીટીએ ૩૦ માર્ચ, ૨૦૨૨ના રોજ એક પરીપત્ર જારી કરી સ્પષ્ટતા કરી હતી કે પાન નિષ્કિય થઇ ગયા પછી સંબધિત વ્યકિતને આવકવેરા અધિનિયમ હેઠળ નિર્ધારિત તમામ પરિણામોનો સામનો કરવો પડશે.