ઉત્તર પ્રદેશના ઇટાવાથી ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાને મારપીટ તથા હોબાળો કરવાના કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે કથેરિયાને કલમ 147 અને 323 હેઠળ દોષિત ઠેરવ્યા છે. ભાજપના સાંસદ પર સાકેત મોલમાં ટોરેન્ટ કંપનીની ઓફિસમાં તોડફોડ કરીને હોબાળો મચાવવાનો આરોપ છે. આ ઘટના 16 નવેમ્બર 2011ના રોજ બની હતી. આ કેસમાં કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી છે. આ સાથે 50 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં રામશંકર કઠેરિયાનું સંસદ સભ્યપદ સમાપ્ત થઈ શકે છે.
તમને જણાવી દઈએ કે, ટોરેન્ટ પાવર લિમિટેડ આગ્રાના સાકેત મોલ ઓફિસમાં સ્થાનિક સાંસદ રામશંકર કથેરિયાની સાથે આવેલા 10 થી 15 સમર્થકો ભાવેશ રસિક લાલ શાહની ઓફિસમાં ઘૂસી ગયા હતા અને તેમની સાથે મારપીટ કરવા લાગ્યા હતા, જેના કારણે તેમને ઘણી ઈજાઓ થઈ હતી.
આ પછી ટોરેન્ટ પાવરના સુરક્ષા નિરીક્ષક સમેધી લાલે હરિપર્વત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે સાંસદ રામશંકર કથેરિયા અને તેમના સમર્થકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં હરિપર્વત પોલીસ સ્ટેશને સાંસદ રામશંકર કથેરિયા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ મોકલી હતી. આ કેસમાં સાક્ષી અને ચર્ચાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે શનિવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ‘રિપ્રેઝેન્ટેશન ઑફ ધ પીપલ્સ એક્ટ 1951’ની કલમ 8(3) હેઠળ જો કોઈ સાંસદ અથવા તો ધારાસભ્યને કોઈ ગુનામાં દોષિત જાહેર થાય અને તેને 2 વર્ષ અથવા તો તેનાથી વધુની સજા સંભળાવાય છે, તો તેની સંસદ અથવા વિધાનસભાની સદસ્યતા ખતમ થઈ જાય છે. તે જેલમુક્તિના 6 વર્ષ સુધી ચૂંટણી પણ લડી ના શકે.