વન્યજીવ સપ્તાહ ઉજવણી નિમિત્તે બાલારામ ખાતે ઉજાણી- નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટનું લોકાર્પણ કરતા મંત્રીશ્રી મુળુભાઇ બેરા
7 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વન્યજીવ સપ્તાહની ઉજવણી-૨૦૨૩ નિમિત્તે રાજ્યના વન વિભાગ દ્વારા પાલનપુર તાલુકાના બાલારામ ખાતે તૈયાર કરવામાં આવેલ ઉજાણી- નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટનું પ્રવાસન, વન અને પર્યાવરણ તથા ક્લાયમેન્ટ ચેન્જ વિભાગના મંત્રીશ્રી મુળુભાઇ બેરાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું કે, તા. 2 થી 8 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં વન્યજીવ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલ વિકાસયાત્રાને લીધે અંબાજીનો સર્વાંગી વિકાસ જોઈ આનંદ થાય છે. મંત્રીશ્રીએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ડાંગથી અંબાજી સુધીના પટ્ટાને રાજ્ય સરકાર દ્વારા ટુરિઝમ સર્કિટ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં ધરોઈ ડેમથી લઈ અંબાજી સહિત બનાસકાંઠા જિલ્લાના તમામ પ્રવાસન ધામોનો વિકાસ કરવાનું આયોજન છે. જેનાથી અહીં આવતા લાખો પ્રવાસીઓને લીધે રોજગારીની નવી તકો વધશે. તેમણે કહ્યું કે, નાના બાળકો અને વિદ્યાર્થીઓ વન્યજીવોથી પરિચિત થાય એ માટે બાલારામ ઉજાણી ગૃહમાં અંદાજીત ૫ હેક્ટર વિસ્તારમાં નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરિઝમ કેમ્પ સાઇટ બનાવવામાં આવી છે. જેમાં ઈકો ટુરિઝમના ઉદ્દેશ્યથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. બાલારામ ઉજાણી કેમ્પ સાઈટ ખાતે પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇકો ટુરીઝમ થકી ભાવિ પેઢીને પ્રકૃતિ અને અહીંના વન્યજીવનને નજીકથી સમજવાનો અને તેની સાથે સંવેદના કેળવવાનો અવસર મળશે અને અહીંના સ્થાનિક લોકો માટે પણ રોજગારી અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે તેમના સહકાર થકી વન સંવર્ધનની પ્રવૃતિને પણ બમણો વેગ મળશે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરે જણાવ્યું કે, આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ ‘પ’ ના વચન પ્રમાણે પાણી, પર્યાવરણ, પ્રવાસન, પશુપાલન અને પોષણની દિશામાં કામ થઈ રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા ખુબ ટૂંકાગાળામાં બાલારામ ચેકડેમનું નિર્માણ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લો શક્તિસ્વરૂપ મા અંબાની પવિત્ર ભૂમિ છે. ગીર અભ્યારણ્યની જેમ જેસોરમાં જંગલ સફારીની દિશામાં આગળ વધવા તેમણે વન વિભાગને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઈ માળીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતું. જણાવ્યું કે, પૂર્વ નાયબ વન સંરક્ષકશ્રી આઈ. કે. બારડે આ જગ્યાએ ઉજાણી- નેચર એજ્યુકેશન એન્ડ ઇકોટુરીઝમ કેમ્પ સાઈટ બનાવવાનો વિચાર રજૂ કર્યો હતો. અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી એસ. કે. ચતુર્વેદીએ જણાવ્યું કે, આપણું રાજ્ય આજે દરેક દિશામાં સતત આગળ વધી રહ્યું છે તેવી જ રીતે વન્ય પ્રાણી સંરક્ષણની બાબત પણ ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. આ પ્રસંગે મત્રીશ્રીના હસ્તે નળ સરોવર કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. વન્યજીવ રેસ્ક્યુ, વન્યજીવ બચાવની શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને એન.જી.ઓ.નું પ્રશસ્તિ પત્ર આપી સન્માન કરાયું હતું. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું મંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. વન વિભાગ દ્વારા મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીઓને મોમેન્ટ અર્પણ કરી ઋણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી યુ. ડી. સિંઘ, મુખ્ય વન સંરક્ષકશ્રી એન. શ્રીવાસ્તવ, વન સંરક્ષકશ્રી ડૉ. બી. સૂચિન્દ્રા, કલેકટરશ્રી વરુણકુમાર બરનવાલ, પૂર્વ મંત્રીશ્રી કાંતિભાઈ કચોરીયા, પૂર્વ ધારાસભ્યશ્રી રેખાબેન ખાણેશા, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી ફતાભાઈ ધારિયા, અગ્રણીઓ સર્વશ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી સાગરભાઈ ચૌધરી, શ્રી મોતીભાઈ પાળજા, શ્રી અમીષપુરી ગૌસ્વામી, સામાજિક વનિકરણ વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી અભયકુમારસિંઘ અને નાયબ વન સંરક્ષક (નોર્મલ) શ્રી પી. જે. ચૌધરી,મદદનીશ વન સંરક્ષકશ્રી કનકબા, રેન્જ ફોરેસ્ટ ઓફીસરશ્રી વિજય ચૌધરી સહિત વન વિભાગના અધિકારીઓ- પદાધિકારીઓ અને સારી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.