વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
મળતી માહિતી મુજબ થોડા સમય પૂર્વે વડોદરામાં હરણી તળાવમાં શાળાનાં વિદ્યાર્થીઓની બોટ ડૂબી જતા કેટલાય માસુમ બાળકોનાં જીવ ગયા હતા.જેમાં સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવવા પામી હતી,ત્યારબાદ રાજય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં બોટિંગ નૌકાવિહારની પ્રવૃત્તિ બંધ કરી દેવાઈ હતી.રાજય સરકાર દ્વારા જ્યાં સુધી નવી ગાઈડલાઈન બહાર ન પાડે ત્યાં સુધી બોટિંગની પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી હતી.જેમાં રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે આવેલ સર્પગંગા તળાવમાં ચાલતી નૌકાવિહારની પ્રવૃત્તિ પણ નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી બંધ કરાઈ હતી.સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નૌકાવિહારની પ્રવૃત્તિ બંધ કરી દેવાતા સ્થાનિકોની રોજગારી પણ ઠપ્પ થઈ જવા પામી હતી.ગુરુવારે હાઇકોર્ટની નવી ગાઈડ લાઈન અનુસાર નિયમોનું ચુસ્ત પાલન કરવાની શરતે સાપુતારા સર્પગંગા તળાવમાં નૌકા વિહાર શરૂ કરતા પ્રવાસીઓમાં ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી.સાથે નૌકાવિહાર ચાલુ થતા સ્થાનિક કક્ષાએ રોજગાર મેળવતા યુવકોએ પણ હાશકારો અનુભવ્યો હતો.