Rajkot: ‘મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર પ્રયાસશીલ
તા.૧૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોના કામદારોને મતદાન કરવા પ્રેરિત કરાયા
ઉપલેટાના ગામોમાં ભાવિ મતદારોએ વર્તમાન નાગરિકોને આપ્યો મતદાનનો સંદેશ
Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં લોકસભાની ચૂંટણી સંદર્ભે તા. ૭ મે, ૨૦૨૪ના મતદાનના મહાપર્વની ઉજવણી થનારી છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને, તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ‘મતદાન એ મહાદાન’ના મંત્રને સિદ્ધ કરવા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી અને અધિક કલેકટરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ ઠેર-ઠેર મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
જે અન્વયે ૭૧ – રાજકોટ ગ્રામ્ય (અ.જા.) વિધાનસભા મત વિસ્તારના રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા ગામ પાસે આવેલ ફાઈન થ્રેડસ ફોર્મ ઇન્ડસ્ટ્રીઝ અને લોધિકા તાલુકાના મેટોડા ગામ ખાતે ગૌતમ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોને ચુંટણી તથા મતદાનની તારીખ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતાં. તથા યુનિટના સ્ટાફ અને કામદારોને મતદાન કરવા માટેની નૈતિક ફરજ નિભાવી લોકશાહીના પર્વમાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કામદારોએ મતદાન અંગેના શપથ પણ લીધા હતા.
ઉપરાંત, ૭૫ – ધોરાજી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામ અને ખાખીજાળીયા ગામ ખાતે “ચુનાવ પાઠશાળા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ રેલી અને નાટકના માધ્યમથી ચૂંટણીની પ્રક્રિયા સમજાવીને મતદારોને જાગૃત કરવાના પ્રયત્નો કર્યા હતા. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને ઘરે-ઘરે મતદાન જાગૃતિનો સંદેશો પહોંચાડ્યો હતો. આમ, ભાવિ મતદારોએ વર્તમાન નાગરિકોને મતદાનનો સંદેશ આપ્યો હતો.