MORBI

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરબીમાં પ્રાદેશિક સરસ મેળો નો શુભારંભ કરાવ્યો

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે મોરબીમાં પ્રાદેશિક સરસ મેળો નો શુભારંભ કરાવ્યો“મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે”

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મોરબી ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૩ને રીબીન કાપી ખુલ્લો મૂક્યો હતો.

સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહૂડ મિશન અન્વયે મોરબી ખાતે આયોજિત પ્રાદેશિક સરસ મેળો-૨૦૨૩નો કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો.

આ તકે કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે મહિલાઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાતે પૂરું પાડ્યું છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મહિલાઓના સશક્તિકરણના ક્ષેત્રે તેમજ ગ્રામીણ મહિલાના આર્થિક ઉત્થાન માટે ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ સખી મંડળોની શરૂઆત કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદીએ મહિલાઓના સર્વાંગીક વિકાસ માટે દુરોગામી પગલા લીધા. જન્મદરમાં અસમતુલા ઉપર ધ્યાન દઈ તેમણે બેટી બચાવો, બેટી પઢાવો તેમજ કન્યા કેળવણી અભિયાન શરૂ કરાવ્યું. જેના બાબતે સમાજમાં તેમણે જાગૃતતા ફેલાવી અને ગર્ભ નિરીક્ષણ અને ગર્ભપાત બાબતે પણ કડક કાયદા બનાવ્યા. આજે દેશ અને ગુજરાતમાં દિકરા-દિકરીના જન્મદરમાં જે અસમાનતા હતી એ મહદઅંશે દૂર થઈ ગઈ છે જેના યશના ભાગીદાર નરેન્દ્રભાઈ મોદી જ છે.

સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. મહિલાઓ માટે સૈનિક કોલેજ બનાવવામાં આવી ઉપરાંત બહેનોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ૫૦% અનામત પણ આપવામાં આવી જેના પરિણામ સ્વરૂપે આજે આપણે ગ્રામ પંચાયતોમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત વગેરે જગ્યાઓએ મહિલાઓનું પ્રતિનિધિત્વ જોઈ શકીએ છીએ.

ગ્રામીણ આજીવીકા મિશન હેઠળ મહિલાઓના ઉત્થાન માટે સખી મંડળોની રચના કરવામાં આવી. જે હેઠળ બહેનો જૂથ બનાવી કૃષિ/બિનકૃષિ વ્યવસાય કરતી થાય અને પગભર બની મહિલાઓમાં બેરોજગારી ઘટે તે માટે મહત્વનું પગલું લેવામાં આવ્યું. આ બહેનો દ્વારા બનાવવામાં આવતી વસ્તુઓનો સીધું પ્રદર્શન અને વેચાણ થઈ શકે અને આ બહેનોને વધુ રોજગારી મળે તે માટે આવા મેળાઓનું આયોજન અવારનવાર કરવામાં આવે છે.

સખી મંડળોની બહેનોની આ પ્રવૃત્તિને વેગ મળે તે માટે નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા હેઠળ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અથાગ પ્રયાસો કરી રહી છે જે અન્વયે ઠેર ઠેર આવા મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તહેવારો દરમિયાન, ઉત્સવ દરમિયાન આવા મેળાઓ થકી બહેનો રોજગારી મેળવી પગભર બની રહી છે. ઉપરાંત આ બહેનોની પ્રોડક્ટસ રાષ્ટ્રીય/આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તે માટે પણ સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેવું મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.

આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ કર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રી સાથે સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંદુભાઈ શિહોરા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેનશ્રી જયંતિભાઈ પડસુંબિયા, જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી હંસાબેન પારઘી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, રાજકીય અગ્રણી સર્વશ્રી જયુભા જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, અરવિંદભાઈ વાંસદડિયા, જેઠાભાઈ મ્યાત્રા અને જિલ્લાના નાગરિકો તેમજ સખી મંડળની બહેનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!