તા.૪/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
આગામી તા. ૦૬-૦૮-૨૦૨૩ના રોજ ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા “શિક્ષક અભિરૂચિ કસોટી(ઉચ્ચતર માધ્યમિક)” (TAT-HS)-૨૦૨૩ની લેખિત પરીક્ષા રાજકોટ શહેરમાં અલગ અલગ શાળા-કોલેજોમાં ૧૨.૦૦ કલાકથી ૧૫.૦૦ કલાક દરમ્યાન યોજાનાર છે. આ સંદર્ભે રાજકોટ શહેર કમિશનર શ્રી રાજુ ભાર્ગવે રાજકોટ શહેરમાં પરીક્ષા માટે નક્કી કરાયેલ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર ઝેરોક્ષ મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા શાળામાં સંચાલકોને તા. ૦૬-૦૮-૨૦૨૩ના રોજ સવારના ૧૦-૦૦ થી બપોરના ૧૬-૦૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો ચાલુ રાખવા, અનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ તથા ચાર કે તેથી વધુ વ્યક્તિઓને એકત્ર થવા, પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે અન્ય ઇલેકટ્રોનિક સાધન કે સાહિત્ય સાથે પ્રવેશ તેમજ પરીક્ષા કેન્દ્રમાં વાહનોને પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત પરીક્ષા કેંદ્રમાં ઓળખ કાર્ડ વગર પરીક્ષાર્થી અને ફરજ બજાવતા સર્વે સ્ટાફને પણ પ્રવેશ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે.
આ આદેશો સ્થાનિક સત્તાવાળા પાસેથી પરવાનગી મેળવેલ વ્યક્તિ કે વ્યક્તિ સમૂહને, ફરજ ઉપર હોય તેવા પોલીસ/એસ.આર.પી/હોમગાર્ડ/જી.આર.ડીના અધિકારીઓ તથા જવાનો, લગ્નાના વરઘોડાને, સ્મશાનયાત્રાને, પ્રમાણીત પરીક્ષાર્થીને લાગુ પડશે નહીં. આ જાહેરનામાના ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.