વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ ડાંગ જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી તરફથી ડાંગ જિલ્લા સહિત રાજ્યના તમામ ખેડુતોને આગામી ખરીફ ઋતુમા પાક વાવેતર માટે બિયારણની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે મુજબ ખેડૂતોએ બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ, પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઇ પણ સંજોગોમા લાયસન્સ, પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તીઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખરીદી કરવી નહી, જેથી છેતરપિંડી થી બચી શકાય.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનુ લાયસન્સ નંબર, પુરૂ નામ સરનામુ, અને જે બિયારણ ખરીદેલ હોય તેનુ નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતુ બીલ સહી સાથે અવશ્ય લેવુ.
બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઇ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી, અને કોઇ પણ સંજોગોમા મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી કરવી નહી.
ખાસ કરીને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનુ નામ, સરનામુ અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા, અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમા ખરીદી કરવી નહી. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનુ ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સપેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રીને તુંરત જાણ કરવી.
વાવણી બાદ ખરીદેલ બિયારણનુ પેકેટ અથવા થેલી, અને તેનુ બીલ પણ સાચવી રાખવા માટે ડાંગ જિલ્લા નાયબ ખેતી નિયામક દ્વારા એક અખબારી યાદી દ્વારા જણાવાયુ છે.