14 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા
દર વર્ષે 14મી જાન્યુઆરીના રોજ ભારત દેશમાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવે છે. જુદા જુદા રાજ્યોમાં આ ધાર્મિક તહેવાર જુદા જુદા નામે ઓળખાય છે. સૂર્ય દક્ષિણ ગોળાર્ધમાંથી ઉત્તર દિશા તરફ પ્રયાણ કરે તે દિવસને ઉત્તરાયણ તરીકે ઓળખવામાં આવે છે. સર ભવાનીસિંહ વિદ્યાલયમાં ઉત્તરાયણ નિમિત્તે આજરોજ બાળકોમાં પર્વનું વૈજ્ઞાનિક મહત્વ સમજાય અને બાળકો સમૂહમાં આનંદ મેળવે તથા સમૂહ-ભાવના કેળવાય તે હેતુ માટે આજે એનએસએસ યુનિટ દ્વારા સુંદર મજાના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક વિદ્યાર્થી ભાઇ-બહેન પોતાના ઘરેથી સ્વદેશી બનાવટની દોરી લઈને આવ્યા હતા અને શાળામાં તેમને NSS યુનિટ દ્વારા પતંગ આપવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓએ હર્ષોલ્લાસથી મેદાનમાં પતંગ ચગાવ્યા હતા. એક બીજા સાથે પેચ પણ લડાવ્યા હતા અને ખૂબ જ આનંદ મેળવ્યો હતો. છેલ્લે વિદ્યાર્થીઓ દ્વારા મેદાનમાં થયેલો દોરી અને પતંગ નો કચરો એકઠો કરીને તેનો નષ્ટ કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક વિક્રમભાઈ પ્રજાપતિ અને શૈલેષભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. છેલ્લે શાળાના ઈન્ચાર્જ આચાર્ય વી કે પરમારે NSS પ્રોગ્રામ ઓફિસર જયેશભાઈ ચૌધરી અને રાજેશગીરી અપારનાથી તથા તમામ સ્ટાફમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.