તા.૧૬/૧૦/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
જનભાગીદારી થકી શ્રમદાન આપતાં પદાધિકારીઓ, આગેવાનો અધિકારીઓ, કર્મચારીઓ, વ્યાવસાયિક-સામાજિક સંગઠનો
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત “સ્વચ્છતા હી સેવા” અભિયાન જનભાગીદારી થકી સમગ્ર દેશમાં વ્યાપક બન્યું છે ત્યારે ગુજરાતનાં મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલનાં નેતૃત્વ હેઠળ સમગ્ર રાજયને સ્વચ્છ અને સુઘડ બનાવવાં સઘન સ્વચ્છતા ઝુંબેશને વધુ અસરકારક બનાવવા ઠેર ઠેર જનભાગીદારી થકી સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સ્વચ્છતા ઝુંબેશ અન્વયે તા.૧૫ ઓકટોબર, રવિવારના રોજ રાજકોટ જિલ્લાના ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા, જેતપુર તાલુકાનાં વર્તમાન-ભૂતપૂર્વ પદાધિકારીઓ, આગેવાનો, અધિકારીઓ, કર્મચારીઓ, વ્યાવસાયિક-સામાજિક સંગઠનો દ્વારા સહિયારા પ્રયાસો થકી આસપાસના વિસ્તારમાં, ગામનાં બસ સ્ટોપ, બસ સ્ટેન્ડ, જાહેર જગ્યાઓ સહિત ગ્રામ્ય વિસ્તાર તથા નગર પાલિકા વિસ્તારમાં શ્રમદાન આપી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જામકંડોરણા, જેતપુર તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ.એમ.ભાસ્કર, ધોરાજી તાલુકા વિકાસ અધિકારીશ્રી જયશ્રીબેન જે. દેસાઈ, ઉપલેટા તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસિંહ પરમારનાં દિશાનિર્દેશ હેઠળ સંબધિત તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આયોજનબદ્ધ થીમ આધારિત દર અઠવાડિયે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આગામી સમયમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યમાં જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો કે પ્રવાસન સ્થળો અથવા કોઇપણ સ્થાન ઉપર કચરો ન દેખાય તેની ખાસ કાળજી રાખી ડોર ટુ ડોર વ્યવસ્થાપન, કચરાનું એકત્રીકરણ, વર્ગીકરણ અને આખરી નિકાલની વ્યવસ્થાને સુદ્રઢ અને સુચારૂ બનાવી સફાઈ કરવામાં આવશે.