GUJARATNAVSARI

Navsari: નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૧૯મો પદવીદાન સમારોહ સંપન્ન

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ૧૯મો પદવીદાન સમારોહ રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજયના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૯ મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્વિનો નવો માર્ગ કંડારે.
રાજયપાલશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વમાં કૃષિ ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે સમયની માંગ અને પડકારોને મૂલવી પરિવર્તન માટે સજ્જ થવું પડશે. રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યાં છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના અંધાધૂંધ ઉપયોગથી જળ, જમીન અને પર્યાવરણ પ્રદૂષિત થઇ રહયાં છે. જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. કૃષિ ખર્ચ સતત વધી રહયો છે અને ઉત્પાદન ઘટી રહયું છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખેતી અને ખેડૂતની સમૃદ્વિ માટે રાસાયણિક કૃષિના વિકલ્પને શોધવો આજના સમયની માંગ છે, ત્યારે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ રાસાયણિક કૃષિના મજબૂત વિકલ્પ તરીકે અપનાવવાથી કૃષિક્ષેત્રે નવી ક્રાંતિ આવશે. તેમણે સમર્થ અને સશકત રાષ્ટ્રનાં નિર્માણમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જમીનમાં મિત્ર જીવોની સતત વૃધ્ધિ થાય છે તેનું માર્ગદર્શન આપતાં રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, દેશી ગાયના છાણ અને ગૌમૂત્રથી બનતાં જીવામૃત-ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્રજીવો અને સૂક્ષ્મ જીવાણુઓની વૃધ્ધિ થાય છે. અને સરવાળે જમીનમાં આોર્ગેનિક કાર્બનની માત્રામાં વધારો થતાં જમીનની ફળદ્રુપતા વધે છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક કૃષિ અર્થાત જૈવિક કૃષિમાં કૃષિ ખર્ચ ઘટતો નથી અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો નથી. જયારે પ્રાકૃતિક કૃષિ યોગ્ય પધ્ધતિથી કરવામાં આવે તો ઉત્પાદનમાં ઘટાડો થતો નથી.
ગુજરાતમાં નવ લાખ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે, તેનો ઉલ્લેખ કરી રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, રાજય સરકારની પ્રોત્સાહક નીતિને કારણે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિના જનઆંદોલનને નવું બળ મળ્યું છે.

રાજયપાલશ્રીએ આ પ્રસંગે પદવી પ્રાપ્ત કરનારા યુવા વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી, તેઓને આજીવન વિદ્યાર્થી બની કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વાન કર્યું હતું.

કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૃષિ વિદ્યાલયના વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે,  ઉદ્યમી જગતના તાતની આવક વધે તથા કૃષિક્ષેત્રે સંશોધનને પ્રોત્સાહન મળે તે માટે રાજય સરકાર પગલાં લઇ રહી છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ બન્યું છે. વિકસિત ભારત માટે કૃષિ અને કૃષિકારો આત્મનિર્ભર બને તે જરૂરી છે. સરકાર દ્વારા કૃષિકારોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી રાસાયણિક ખાતર મુક્ત કૃષિ ઊપજ પેદા કરવા કૃષિમંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે અનુરોધ કર્યો હતો.

પ્રારંભમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ.ઝેડ.પી.પટેલે સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઓ,પહેલો અને તકનીકી સંશોધનોની ઝાંખી કરાવી હતી. ડૉ. પટેલે સ્નાતક-અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને તેમનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પાઠવી કૃષિ ક્ષેત્રના વર્તમાન અને ભાવિ પડકારોને પહોંચી વળવા નિર્ધારિત લક્ષ્યાંકો હાંસલ કરવાની સાથે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવા શીખ આપી હતી.
આ પ્રસંગે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્દ હસ્તે ૩૬ તેજસ્વીં વિદ્યાર્થીઓને કુલ ૫૨(બાવન)  ચંદ્રકો  એનાયત કરવામાં આવ્યા  હતા. નવસારી કૃષિ યુનિવર્સિટીની સંલગ્ન કોલેજના પ્રોફેસરશ્રીઓને બેસ્ટ ટીચર તરીકેના પાંચ ઍવોર્ડ અને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ

આ અવસરે નવસારી જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સુશીલ અગ્રવાલ, રાજયની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ ,વિવિધ ફેકલ્ટીઓના વડાશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ, કૃષિ વૈજ્ઞાનિકો, સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહયાં હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!