મોરબી પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ થયું, તેમ છતાં તેમના પરિજનોને ન્યાય નથી મળ્યો: ઈસુદાન ગઢવી
મોરબી પુલ દુર્ઘટનાના મૃતકોના પરિજનો ગાંધીઆશ્રમ ખાતે આવીને ન્યાય માટે ધરણા કરી રહ્યા છે: ઈસુદાન ગઢવી
ગુજરાત સરકાર અમુક લોકોને બચાવી રહી છે અને યોગ્ય તપાસ નથી કરી રહી: ઈસુદાન ગઢવી
તક્ષશિલા કાંડ થયો તેમાં પણ નાના ભૂલકાઓ જીવતા સળગી ગયા હતા અને તેમના પરિજનોએ પણ ન્યાય માટે હાઇકોર્ટ સુધી જવું પડ્યું હતું: ઈસુદાન ગઢવી
અમદાવાદ/મોરબી/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી એક દુઃખદ ઘટના પર વાત કરતા જણાવ્યું કે, મોરબી પુલ દુર્ઘટનાને આજે એક વર્ષ થયું. પરંતુ દુઃખ સાથે કહેવું પડે કે આટલી મોટી દુર્ઘટના ઘટી અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, તેમ છતાં આજ સુધી તેમના પરિજનોને ન્યાય નથી મળ્યો. આજે મૃતકોના પરિજનો ગાંધીઆશ્રમ ખાતે આવીને ધરણા કરી રહ્યા છે. ન્યાય માટે તેઓએ આ રીતે ધરણા કરવા પડે આનાથી મોટી કોઈ કરુણતા ન હોઈ શકે.
ગઈ સાલ તહેવારો હતા ત્યારે લોકો પરિવાર સાથે ફરવા માટે આ બ્રિજ પર ગયા હતા અને ત્યાં દુઃખદ રીતે તેઓ મોતને ભેટ્યા હતા. તેમની આત્માને શાંતિ ત્યારે જ મળશે જ્યારે તેમને ન્યાય મળશે. પરંતુ આજે તેમના પરિવારને ધરણા કરવા પડે છે કારણ કે તેમને ન્યાય નથી મળી રહ્યો. આનાથી મોટી ગુજરાત સરકારની કોઈ નાકામયાબી હોય ના શકે. આ લોકોને ન્યાય ન અપાવી શકનાર ગુજરાત સરકારની આનાથી મોટી બીજી કોઈ નિષ્ફળતા ન હોઈ શકે.
તક્ષશિલા કાંડ થયો તેમાં પણ નાના ભૂલકાઓ જીવતા સળગી ગયા હતા અને તેમના પરિજનોએ પણ ન્યાય માટે હાઇકોર્ટ સુધી જવું પડ્યું હતું. આના પરથી મને લાગી રહ્યું છે કે ગુજરાત સરકાર અમુક લોકોને બચાવી રહી છે અને યોગ્ય તપાસ નથી કરી રહી. એટલા માટે જ આજે મૃતકોના પરિવારજનોએ ન્યાય માટે વલખા મારવા પડી રહ્યા છે, આ ખૂબ જ દુઃખદ ઘટના છે.