તા.૨૧ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ
રાજકોટ જિલ્લામાં પબ્લીક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલા પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના’ અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના’ હેઠળ લાભ લેવા માટે ઓક્ટોબરથી ડીસેમ્બર, ૨૦૨૨ દરમિયાન આવેલી ૨૪ ગૌશાળા-પાંજરાપોળની અરજી મંજૂર કરાઈ હતી. જેતપુર, જામકંડોરણા, જસદણ, કોટડાસાંગાણી, ગોંડલ તાલુકાઓમાં આવેલી આ કુલ ૨૪ સંસ્થાઓને પ્રથમ હપ્તાની સહાય માટે કુલ રૂ. ૬૬,૫૭,૧૨૦ની સહાય આપવામાં આવશે.
વધુમાં, બેઠકમાં જાન્યુઆરીથી માર્ચ, ૨૦૨૩ માટે ગૌશાળાઓ અને પાંજરાપોળોને ચુકવવાની થતી આર્થિક સહાય બાબતે પરામર્શ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ યોજના હેઠળ કુલ ૭૮ જેટલી ગૌશાળા અને પાંજરાપોળને કુલ રૂ. ૫,૨૭,૯૦,૫૨૦ની સહાય આપવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, જિલ્લા નાયબ પશુપાલન નિયામકશ્રી ડો. કે. યુ. ખાનપરા, ઘનિષ્ઠ પશુસુધારણા યોજના કચેરીના નાયબ નિયામકશ્રી ડો. એ. એમ. દઢાણીયા, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના સેક્રેટરીશ્રી પ્રતિકભાઈ સંઘાણી સહિતના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.