NATIONAL

Gujarat : ગુજરાતમાં સાડા છ કરોડોની વસ્તી પૈકી એક કરોડ લોકો તો ગરીબ અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યા છે

એક તરફ સમૃદ્ધ -પ્રગતિશીલ ગુજરાતના ગાણાં ગવાઇ રહ્યા છે. બીજી તરફ, ખુદ કેન્દ્ર સરકારે જ સ્વિકાર્યુ છે કે, ગુજરાતમાં સાડા છ કરોડોની વસ્તી પૈકી એક કરોડ લોકો તો ગરીબ અવસ્થામાં જીવન વ્યતિત કરી રહ્યા છે. વિકાસની હરણફાળ ભરતાં ગુજરાતમાં જાણે ગરીબીએ ડેરાતંબુ તાણ્યા છે.  રાજ્યમાં શહેરો કરતાં ગામડાઓમાં ચાર ગણાં ગરીબો છે. મહત્વની વાત એછે કે, ગરીબોના કલ્યાણ-ઉત્કર્ષની અનેક યોજના અમલમાં છે તેમ છતાંય ગુજરાતમાં ગરીબીનુ બિહામણુ ચિત્ર યથાવત રહ્યું છે.

ગરીબ કલ્યાણ મેળા થકી કરોડોનું આંધણ કરાયું પણ ગરીબોનું ક્લ્યાણ ન થયું, ગરીબીમાં ગુજરાત દેશમાં 14મા ક્રમે રહ્યું છે. ગામડામાં રોજ 26 રૂપિયા અને શહેરમાં રોજ 32 રૂપિયા પણ ખર્ચી શકે નહી તેને ગરીબી રેખા હેઠળની વ્યક્તિ ગણવામાં આવે છે. આ સામાન્ય ખર્ચ કરવા ય સક્ષમ નથી તેવી વ્યક્તિઓની ગુજરાતમાં ઘણી મોટી સંખ્યા છે. લોકસભામાં ખુદ કેન્દ્ર સરકારે એ વાત કબૂલી કે, ગુજરાતમાં કુલ મળીને 1.02 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ જીવી રહ્યા છે. ટૂંકમાં, ગુજરાતમાં 16.63 ટકા લોકો ગરીબ છે.

બેરોજગારી ફેણ માંડી રહી છે ત્યારે ગામડાના લોકો શહેરો તરફ દોડી રહ્યા છે.  ઔદ્યોગિક વિકાસને જોતાં શહેરોમાં લોકોને રોજગારી મળી રહે છે પણ ગામડાઓની દશા દયનીય છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ, ગુજરાતમાં શહેરોમાં 10.14 ટકા ગરીબી છે એટલે કે, 26.88 લોકો ગરીબી અવસ્થામાં છે જયારે ગામડાઓમાં તો શહેરોની સરખામણીમાં ચાર ગણી વધુ ગરીબી છે. ગામડાઓમાં ગરીબોની સંખ્યા 75.35 લાખ સુધી પહોંચી છે. એટલે કે, 21.54 ટકા ગ્રામ્ય વસ્તી ગરીબ છે. નીતિ આયોગના બહુઆયામી સૂચકાંક-2023ના મતે, ગરીબીમાં ગુજરાત દેશમાં 14માં ક્રમે છે. આ ઉપરાંત દાહોદ સૌથી ગરીબ જીલ્લો છે જયાં 38.27 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવન ગાળી રહ્યા છે. આ ઉપરાંત ડાંગ, છોટાઉદેપુર, નર્મદા અને બનાસકાંઠા પણ ગરીબ જિલ્લા છે.

હવે ગરીબીમાં રહેવુ નથી તેવા સૂત્ર સાથે દર વર્ષે ગુજરાત સરકાર ગરીબ કલ્યાણ મેળા યોજીને વાહવાહી મેળવે છે. એટલુ જ નહી, કરોડોનું આંધણ કરે છે આમ છતાંય ગરીબોનું ક્લ્યાણ થઇ શક્યુ નથી. ગરીબાના ઉત્કર્ષની યોજના ખરેખર લાભદાયી નિવડી હોત તો ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં જરૂર ઘટાડો થયો હોત. પણ એવુ થયુ નથી. આજે પણ ગુજરાતમાં 1 કરોડ વસ્તી મફત અનાજ મેળવીને પેટનો ખાડો પૂરો કરે છે. મજૂરી કરીને જીવનનિર્વાહ પુરુ કરે છે.

આવી કરૂણ પરિસ્થિતિ હોવા છતાય વિકાસના બણગા ફુંકવામાં આવી રહ્યા છે. સમૃદ્ધ-વાઇબ્રન્ટ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે. જોકે, કડવી વાસ્તવિકતા એ છે કે, એક કરોડ લોકોને બે ટંક ખાવાના ય ફાંફા છે. કહેવાતા વિકાસ પાછળ ભાગતી રાજ્ય સરકાર ગરીબી દૂર કરવામાં સફળ રહી નથી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!