વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગરના સહયોગ તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, નવસારી દ્વારા આજરોજ રામજી મંદિર,ખેરગામ ખાતે સરકારી આયુર્વેદ હોસ્પિટલ નવસારી-બિલીમોરા તેમજ શ્રી આર.એમ.ડી.આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, વાઘલધરા વલસાડના સહયોગથી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું.આયુષ મેળા પ્રસંગે ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલે પ્રાચિન તથા હાલના સમયમાં આયુષ પધ્ધતિની મહત્વતા વિશે લોકોને માહિતી આપી હતી. ઉપરાંત વધુને વધુ લોકોને આયુષ ચિકિત્સાનો લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો અને આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવી હતી.
આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરે પ્રાસંગિક પ્રવચન આપતા જણાવ્યું હતું કે, નવસારી જિલ્લામાં ૨૦ આયુર્વેદ હોસ્પિટલ, ૯ હોમિયોપેથિક હોસ્પિટલ તથા બે આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે. કોરોનાકાળ દરમિયાન આયુર્વેદનું મહત્વ આપણને સમજાયું છે ત્યારે આપણે બધા આયુર્વેદ પધ્ધતિને અનુસરીને આપણા જીવનને સ્વસ્થ બનાવીએ.
આ તકે, જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.નયનાબેન પટેલે મહેમાનોની સાથે રહી વિવિધ ઓપીડી સ્ટોલ, પ્રકૃતિ પરીક્ષણ, સુવર્ણપ્રાશન, લાઇવ યોગ નિદર્શન, વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, લાઇવ વનસ્પતિ પ્રદર્શન, હોમીયોપેથી પ્રદર્શન, ઉકાળા- આર્સએનિક વિતરણ, હર્બલટી વગેરે સ્ટોલની મુલાકાત કરી હતી. આ આયુષ મેળામાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રક્ષાબેન પટેલ, અગ્રણીઓ શ્રી ગમનભાઇ પટેલ, શ્રી અનિલભાઇ પટેલ, શ્રી ચુનીભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.