તા.૧૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
૧૯૬૨- કરુણા એનિમલ એમ્બ્યુલન્સ, વન વિભાગ, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સહિતની સંસ્થાઓની સ્તુત્ય કામગીરી
Rajkot: “કરુણા અભિયાન” અંતર્ગત ઉત્તરાયણ પર્વ ઉપર પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર અને જીવન રક્ષણ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “જીવદયા એ જ પ્રભુસેવા”ના મંત્ર સાથે તા. ૨૦ જાન્યુઆરી સુધી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અને સારવાર માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે .
ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ પર સતત ફોન દ્વારા માહિતી આપવામાં આવતા એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર સ્થળ પર તેમજ નિર્ધારિત સ્થળો પર કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લામાં ગત રોજ ૫૨૮ કબુતર, ૦૨ બ્લેક આઇબીઝ, ૦૧ મોર તેમજ અન્ય ૭ પક્ષીઓ સહીત કુલ ૫૩૮ પક્ષીને સારવાર પુરી પાડવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “કરુણા અભિયાન” હેઠળ જિલ્લામાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા ૧૯૬૨ની ૨૨ એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની ૧૧ એમ્બ્યુલન્સ, ૩ બાઈક એમ્બ્યુલન્સ, ૨ અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની ૧ એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય શ્રી રાજેન્દ્રભાઈ શાહ, એનિમલ હેલ્પલાઇનના શ્રી પ્રતિક સંઘાણી, શ્રી મિત્તલ ખેતાણી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીશ્રીઓ, મદદનીશ વન સંરક્ષકશ્રી એસ.ટી.કોટડીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રી એચ.બી.મોકરિયા, વિક્રમસિંહ પરમાર, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્તરાયણ પર્વે સેવા બજાવી જીવન રક્ષકની ઉમદા ફરજ બજાવી હતી..
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પતંગ માંજાના કારણે સવારથી સાંજ સુધી ૩૬૭ થી વધારે પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપી શકાયું હતું. જેમાં કુંજ – ૧ , કલકલિયો – ૧, અને હોલો – ૧ તેમજ ૩૬૪ જેટલા કબૂતરોને વિવિધ સારવાર આપી તેમનો જીવ બચાવ્યો હતો.