Rajkot: મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના કોટડા ગામે વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કરાયું
તા.૨૩/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
રૂ.૨૭૫ લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહમાં વી.આઈ.પી. સ્યુટ રૂમ, કોન્ફરન્સ હોલ, ડાઇનિંગ હોલ સહિતની પાયાની સુવિધાઓ કરાશે ઉપલબ્ધ*
Rajkot: જળ સંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા તાલુકાના કોટડા ગામ ખાતે રૂ.૨૭૫.૯૮ લાખના ખર્ચે તૈયાર થનાર વિશ્રામ ગૃહનું ભૂમિ પૂજન કરાયું હતું.
આ તકે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, આ વિશ્રામ ગૃહ ધંધુકાથી ગોંડલ સુધીના સ્ટેટ હાઈ- વે પર સુવિધાયુક્ત બનાવવામાં આવશે. આશરે ૮૫૪.૧૬ ચોરસ મીટરમાં બનનાર વિશ્રામ ગૃહમાં ગ્રાઉન્ડ ફ્લોર પ્રકારનું આર.સી.સી. મકાન, બે વી.આઇ.પી. સ્યુટ રૂમ, ૭ સિંગલ ડિલક્ષ રૂમ, સીટીંગ લોજ, કિચન તથા ડાઇનીંગ, સ્ટોર રૂમ, કોન્ફરન્સ હોલ, દિવ્યાંગ ટોઇલેટ, મેનેજર કેબીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત કેમ્પસ એરીયા ડેવલોપમેન્ટ તરીકે પાર્કિંગ શેડ, સી.સી.રોડ, કમ્પાઉન્ડ વોલ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ, બોર તથા પમ્પ રૂમ, ગાર્ડન અને લેન્ડ સ્કેપીંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવશે.
વધુમાં મંત્રીશ્રીએ જસદણ અને વિંછીયા તાલુકામાં સિંચાઈ, ખેડૂતો માટે વિવિધ યોજનાઓ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થાઓ, તળાવો ઊંડા કરવાની કામગીરી, ડેમના કામો, રસ્તાઓના કામો, મગફળી ખરીદી સેન્ટર, સૌની યોજનાની કામગીરી તેમજ નજીકના ભવિષ્યમાં થનાર વિવિધ વિકાસના કામો અંગે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીશ્રી કુંવરજીભાઈ દ્વારા વિશ્રામ ગૃહ માટે પૂજા વિધિ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટરશ્રી એન.આઈ.જાડેજા દ્વારા શાબ્દિક પ્રવચન આપવામાં આવ્યું હતું અને માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરશ્રી બિપીનભાઈ જસાણીએ આભારવિધિ કરી હતી.
આ તકે કોટડા ગામના સરપંચશ્રી નાથાભાઈ, વિંછીયા ગામના સરપંચશ્રી ચતુરભાઈ રાજપરા, માર્કેટિંગ યાર્ડના ચેરમેનશ્રી કડવાભાઈ, અગ્રણીશ્રી દેવરાજભાઈ, શ્રી વલ્લભભાઈ, શ્રી સાગરભાઈ જસાણી, શ્રી પ્રવીણભાઈ મીઠાપરા, શ્રી વિનુભાઈ વાલાણી, શ્રી ભુપતભાઈ રોજાસરા, શ્રી રમેશભાઈ રાજપરા, શ્રી મનુભાઈ, શ્રી નિતેશભાઈ, શ્રી કડવાભાઈ ચોગરાદિયા,
શ્રી વિનુભાઈ, વિંછીયાના મામલતદાર શ્રી એચ.ડી.બારોટ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.