તા.૨૯/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટવાસીઓમા અંગદાન અંગે છે જાગૃતિ
Rajkot: રાજકોટ જિલ્લામાં હાલ લોકોમાં અંગદાન અંગે ખૂબ જાગૃતિ જોવા મળી રહી છે.જેમાં હવે લોકોમાં ત્વચાદાન એટલે કે સ્કીન ડોનેશન અંગે પણ વધુ જાગૃત બની રહ્યા છે. ત્યારે પીડીયુ હોસ્પિટલ રાજકોટને વધુ બે લોકોના સ્કીન ડોનેશન મળ્યા છે.
રાજકોટના સ્વ.નવીનચંદ્ર પી. દેસાઈ તથા સ્વ. હિતેશભાઈ એન. સિંદ્રોજાના તા. ૧૩ તથા ૨૫/૦૧/૨૦૨૪ના રોજ અવસાન પામ્યા હતા. આ બંને મૃતકોના પરિવાર દ્વારા તેમના અંગદાન કરવા નિર્ણય લેવામાં આવ્યા હતા. પરિવારે બંને લોકોની ત્વચા દાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,સ્કિન ડોનેશનથી મેજર બર્ન્સના દર્દીઓની ઝડપથી રિકવરી થશે તથા ટ્રોમા દર્દીઓને બાયોલોજીકલ ડ્રેસીંગ માટે પણ આ ત્વચાનો ઉપયોગ કરી શકાશે.
રાજકોટવાસીઓમાં અંગદાન, રક્તદાન સાથે સાથે હવે ત્વચા દાનમાં પણ ખુબ સકારાત્મક પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. લોકોમાં આ અંગે આવતી જાગૃતી ખૂબ જ સરાહનીય છે.
પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટના તબીબી અધિક્ષકશ્રી ડો. આર.એસ.ત્રિવેદી અને પી.ડી.યુ. હોસ્પિટલ, રાજકોટનાં પ્લાસ્ટીક સર્જરી વિભાગના વડાશ્રી ડો. મોનાલી માકડીયા, સ્કીન ડોનેશન જેવા ઉમદા કાર્ય માટે લોકો સજાગ થાય તે માટે હંમેશા પ્રત્યનશીલ છે તેમ તબીબી અધિક્ષક, પી.ડી.યુ હોસ્પિટલ રાજકોટની યાદીમાં જણાવાયું છે.