તા.૨૫/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કલેકટરશ્રીએ દિવ્યાંગ આઈકન, સૂચિત મતદાર જાગૃતિ આઇકન, નવા મતદારો, મતદાર મહોત્સવના યુવા વિજેતાઓ, ચૂંટણી અધિકારીશ્રીઓનું સન્માન કર્યું
Rajkot: ભારતભરમાં ચૂંટણીપંચનાં સ્થાપના દિન ૨૫મી જાન્યુઆરીને વર્ષ ૨૦૧૧થી ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટમાં ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કલેકટર કચેરી ખાતે કલેકટરશ્રી પ્રભવ જોશીની અધ્યક્ષતામાં કરાઇ હતી.
કલેક્ટરશ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, ભારતની ચૂંટણી પ્રક્રિયા ઉત્તમ છે. આ ચૂંટણી પ્રક્રિયાને શ્રેષ્ઠ બનાવવા મતદાતાઓ અને વહીવટી તંત્રનો મહત્વનો ફાળો છે. ચૂંટણી પ્રત્યે તમામ લોકો વધુને વધુ જાગૃત બને તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. વધુમાં તેઓશ્રીએ લોકશાહીના આ પાવન પર્વ પર યુવાનો મતદાન થકી દેશ માટે પોતાનું અનન્ય યોગદાન આપે તેવો અનુરોધ કર્યો હતો.
આ ઉજવણીમાં કલેક્ટરશ્રીએ દિવ્યાંગ આઈકનશ્રી શૈલેષભાઈ પંડ્યાને તેમના સ્થાન પર જઈને સન્માનિત કર્યા હતા તેમજ સૂચિત મતદાર જાગૃતિ આઇકન પેરા પાવર લીફ્ટર શ્રી રામુભાઈ બાંધવા, ૨૪ શ્રેષ્ઠ બી.એલ.ઓ., ૮ શ્રેષ્ઠ બી.એલ.લો. સુપરવાઈઝર્સ, ૯ નવા મતદારોને ઈલેકશન કાર્ડ અપાયા, ૮ મતદાર મહોત્સવના યુવા મતદાર વિજેતાઓ, ૮ શ્રેષ્ઠ કેમ્પસ એમ્બેસેડરશ્રી એમ કુલ ૫૯ લોકોનું કલેક્ટરશ્રીએ સન્માન કર્યું હતું.
આ તકે નિવાસી અધિક કલેકટર શ્રી સી.એ.ગાંધીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. ઉપસ્થિત સર્વેએ ચીફ ઈલેકશન કમિશનરશ્રી રાજીવકુમારનો મતદાતા દિવસ પર વિડિયો સંદેશ નિહાળ્યો હતો તેમજ ‘અવસર લોગો’ ફિલ્મ અને ગુજરાતની આગવી ભાતિગળ સંસ્કૃતિ અંગેની “હું ભારત છું” વિષયક ટૂંકી ફિલ્મ નિહાળી હતી. ઉપસ્થિત સર્વેએ મુક્ત, ન્યાયિક અને પારદર્શક રીતે ચૂંટણીમાં મતદાન કરવા શપથ ગ્રહણ કર્યા હતા અને ચૂંટણી મામલતદારશ્રી એમ.ડી. દવેએ આભારવિધિ કરી હતી.
આ ઉજવણીમાં આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી નિશા ચૌધરી, અધિક કલેકટરશ્રી કે.જી.ચૌધરી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી રાજેશ્રી વાંગવાણી, જિલ્લા રમત ગમત અધિકારીશ્રી વી.પી.જાડેજા, મામલતદારશ્રીઓ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મતદાતાઓ ઉપસ્થિત રહયા હતા.