તા.૨૯/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
છેવાડાના માનવી સુધી જઈને યોજનાનો લાભ આપવા માટે આ યાત્રા દેશના ઇતિહાસનું અભૂતપૂર્વ આયોજન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
મેયરશ્રી નયનાબેન પેઢડિયા, સંસદસભ્યો, ધારાસભ્યોની ગરીમામય ઉપસ્થિતિ
Rajkot: સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નાગરિકો, કે જેમના સુધી આ યોજનાનો લાભ ન પહોંચ્યો તેઓને લાભ મળે અને સશક્ત થાય તે હેતુથી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” આયોજિત કરવામાં આવી છે, જેના અનુસંધાને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દરેક વોર્ડમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાનાર છે, જેનો શુભારંભ રાજયના કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો.
મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ઉદબોધન કરતા જણાવ્યુ હતું કે, છેવાડાના માનવી સુધી જઈને તેને યોજનાની માહિતી, માર્ગદર્શન અને લાભ આપવામાં આવે તેવુ આયોજન દેશમાં પહેલીવાર જોવા મળ્યું છે. દેશના ઇતિહાસમાં અનેક નેતાઓ- સરકારો આવી પરંતુ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદૃષ્ટિ દ્વારા આ અભૂતપૂર્વ આયોજન શક્ય બન્યું છે, આ યાત્રા સમાજના તમામ વર્ગના લોકો સુધી યોજનાઓનો લાભ પહોંચાડવા અને તેમને વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં ચાવીરૂપ સાબિત થશે. પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સરકારનો નિર્ધાર છે કે તમામ નાગરિકો સુધી આવાસ, પાણી, વીજળી, સ્વાસ્થ્ય, સ્વરોજગાર વગેરે પાયાની સુવિધાઓ પહોંચે. આ સુવિધાઓ પહોંચાડીને તેમને ગરીબીમાંથી બહાર કાઢવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજ્વલા યોજના, પીએમ સ્વનિધી યોજના વગેરે વિવિધ યોજનાઓ દ્વારા બહુઆયામી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
પ્રભારી મંત્રીશ્રી રાધવજીભાઇએ રાજકોટ શહેરના વિકાસ સંદર્ભે કહયુ હતું કે શહેરમાં અમૃત ૧ અને અમૃત ૨ ની ગ્રાન્ટ દ્વારા કરોડો રૂપિયાના માળખાગત સુવિધાના વિકાસ કાર્યો કરવામાં આવી રહ્યાં છે. વળી, રાજકોટને એઈમ્સ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અટલ સરોવર વગેરે અનેક ભેટો મળી છે.
આ તકે સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી ગામેગામ લોકોને યોજનાઓનો લાભ પહોંચશે. પહેલાના સમયમાં મોટી ઉંમરે વડીલો બીમાર પડે ત્યારે પુત્રને દેવું કરીને મોંઘી સારવાર ન કરાવવા કહેતા અને મજબૂરીથી સહન કરતાં, હવે આયુષ્માન ભારત યોજના દ્વારા મફત ઓપરેશન થઈ જાય છે. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પથી આ પ્રશ્ન હવે ભૂતકાળ બન્યો છે.
મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજકોટના તમામ ૧૮ વોર્ડમાં આ યાત્રા દ્વારા સરકાર નાગરિકોના આંગણે આવીને યોજનાનો લાભ આપી રહી છે. નાગરિકોએ આ યાત્રાનાં કાર્યક્રમોમાં આવીને યોજનાઓના લાભ લઈ, અન્ય જરૂરિયાતમંદ લોકોને પણ લાભ અપાવવા અને ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી.
સંતોષીનગર પ્રાથમિક શાળા ખાતે આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. મનપા કમિશ્નરશ્રી આનંદ પટેલે શાબ્દિક સ્વાગત કર્યું હતું. મહાનુભાવોએ પ્રધાનમંત્રી સ્વનિધી યોજના, આયુષ્માન કાર્ડ, સખી મંડળ, ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સહાયના ચેક તેમજ લાભ વિતરણ કર્યું હતું. ઉપસ્થિત તમામને વિકસિત ભારત શપથ લેવડાવવામાં આવ્યા હતાં. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીન ઠાકરે આભાર દર્શન કર્યું હતું. મંત્રીશ્રીએ નાગરિકો વચ્ચે જઈ યોજનાઓના લાભો આપવા માટેના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વેશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડૉ. દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયરશ્રી નરેન્દ્રસિંહ જાડેજા, ડે. કમિશ્નરશ્રી ચેતન નંદાણી, દંડક શ્રી મનીષભાઈ રાડિયા, અગ્રણીશ્રી લીલુબેન જાદવ, મનપાના હોદ્દેદારો, કોર્પોરેટરશ્રીઓ, અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.